
ઇમ્ફાલ, નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.) મણિપુરમાં ગુમ થયા બાદ મૃત હાલતમાં મળી આવેલા છ નાગા નાગરિકોની હત્યાના કેસની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ પોતાના હાથમાં લીધી છે. એજન્સીએ ઘટનાની સંપૂર્ણ હકીકત સુધી પહોંચવા અને મૃતકોની ઓળખની પુષ્ટિ કરવા માટે વ્યાપક ફોરેન્સિક તપાસ શરૂ કરી છે.
મૃતકોની ઓળખ પાદરી કેનપિબોઉ ચાવાંગ, મનુ થિયુમાઈ, ફેનરોંગવિબોઉ થિયુમાઈ, દિલીપ થિયુમાઈ, કાલિવાંગબોઉ અબોનમાઈ અને ચા. ફેનરિલુંગ તરીકે થઈ છે. તમામ મૃતકો કોન્સાખુલ નાગા ગામના રહેવાસી હતા. માહિતી અનુસાર, આ છ લોકોનું 13 મેના રોજ લેલોન વૈફેઈ વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું.
લગભગ એક મહિના સુધી ચાલેલ શોધ અભિયાન અને છેલ્લા 24 કલાકના સંયુક્ત સર્ચ ઓપરેશન બાદ મણિપુર પોલીસ, આસામ રાઇફલ્સ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ના આશરે 450 જવાનોની ટીમે કાંગપોકપી જિલ્લાના ખારામ વૈફેઈ ગામ નજીકથી તેમના મૃતદેહો શોધી કાઢ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતદેહો અત્યંત ક્ષત-વિક્ષત હાલતમાં મળ્યા હતા, જેના કારણે તેમની ઓળખ કરવી શક્ય નહોતી. ત્યારબાદ એનઆઈએની વિશેષ ટીમ ઇમ્ફાલ પૂર્વ સ્થિત જવાહરલાલ નેહરુ આયુર્વિજ્ઞાન સંસ્થા (જેએનઆઈએમએસ)ના શબઘર ખાતે પહોંચી હતી. એજન્સી ડીએનએ પરીક્ષણ અને વિગતવાર પોસ્ટમોર્ટમ પ્રક્રિયા દ્વારા મૃતકોની ઓળખની પુષ્ટિ કરવા તેમજ પુરાવા એકત્રિત કરવા માટે કામગીરી કરી રહી છે.
આ દરમિયાન મૃતદેહોને જેએનઆઈએમએસ લાવવામાં આવ્યા બાદ ઇમ્ફાલમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. મોટી સંખ્યામાં પરિવારજનો, સમુદાયના લોકો અને સ્થાનિક નાગરિકો હોસ્પિટલ પરિસરની બહાર એકત્ર થયા હતા. શોક અને રોષના માહોલ વચ્ચે પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ આંસુ ગેસના ગોળા છોડ્યા હતા. આ દરમિયાન અનેક નાગરિકો અને સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
આ ઘટના નાગા જૂથો દ્વારા 14 કુકી બંધકોને મુક્ત કરવામાં આવ્યા તેના એક દિવસ બાદ સામે આવી છે. જેના કારણે મણિપુરના પહાડી વિસ્તારોમાં વિવિધ સમુદાયો વચ્ચે ફરી હિંસા અને બદલો લેવાની આશંકાઓ વધી ગઈ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇમ્ફાલ પૂર્વ સહિત આસપાસના સંવેદનશીલ જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી દેવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ