
ભાવનગર, 11 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણને સમર્પિત સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં વ્યાપક જનસંપર્ક પ્રવાસ યોજ્યો હતો. આ અભિયાન અંતર્ગત તેમણે વિવિધ વિસ્તારોમાં જઈ પ્રજાજનો સાથે સીધો સંવાદ સાધ્યો તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી.
જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય રાજ્યમંત્રીએ સમાજના વિવિધ ક્ષેત્રોમાં અગ્રણી અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશે છેલ્લા 12 વર્ષમાં હાંસલ કરેલી વિકાસયાત્રા, સુશાસન, ગરીબ કલ્યાણ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત લોકોએ પણ વિવિધ વિષયો પર પોતાના સૂચનો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ ભારતે વૈશ્વિક સ્તરે નવી ઓળખ ઊભી કરી છે. ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના સર્વાંગી વિકાસ માટે અનેક ઐતિહાસિક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનો દ્વારા દેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 4399 દિવસ પૂર્ણ થવાના અવસરે શિહોર સ્થિત મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત મહાઆરતી કાર્યક્રમમાં પણ કેન્દ્રીય રાજ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દેશની સુખાકારી, સમૃદ્ધિ અને વિકસિત ભારતના સ્વપ્નની સિદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. કાર્યક્રમોમાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA