


- કેન્દ્ર સરકારની એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કિમમાં વડોદરા અગ્રક્રમે, ઉદ્યોગકારોને કાચામાલની આયાતમાં મળી કરમુક્તિ
- એડવાન્સ ઓથોરાઇઝેશન હેઠળ 2025માં 42830 કરોડના કાચા માલની આયાત સામે રૂ. 56084 કરોડના માલની નિકાસ થઇ
ગાંધીનગર,11 જૂન (હિ.સ.) કેન્દ્ર સરકારના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં પશ્ચિમ ભારતમાં વડોદરા અને આસપાસના જિલ્લાઓ મજબૂત નિકાસકર્તા સ્થાન તરીકે ઉભરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિદેશ વેપાર નીતિ –2023 અને આ પ્રાંતના સશક્ત ઔદ્યોગિક તાકાતના પરિણામે આયાતની સામે નિકાસમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળી રહી છે. આમાં એડવાન્સ ઓથોરાઇઝેશનની મહત્વની ભૂમિકા રહી છે.
આ એડવાન્સ ઓથોરાઇઝેશન શું છે ? એ પહેલા સમજીએ. વિદેશમાંથી કોઇ સામાન આયાત કરી તેને અહી પ્રોસેસ, વેલ્યુ એડિશન કરીને ફરી નિકાસ કરવા બદલ કેન્દ્ર સરકાર દ્વારા એડવાન્સ ઓથોરાઇઝેશન આપવામાં આવે છે. જેમાં કાચા માલની આયાત ડ્યુટી આપવી પડતી નથી.
વિદેશ વેપાર નીતિમાં એની વિસ્તૃત માર્ગદર્શિકા આપવામાં આવી છે. તેને ટૂંકમાં જોઇએ તો ઇમ્પોર્ટર એક્સપોર્ટર કોડ ધરાવતા ઉદ્યોગકારોને પોતાના ઉત્પાદન અને કંપનીની વિગતો સાથે એક્સપોર્ટ કાઉન્સીલમાં અરજી કરી એડવાન્સ ઓથોરાઇઝેશન મેળવવાનું રહે છે.
એક વાર એડવાન્સ ઓથોરાઇઝેશન આવી ગયા બાદ તેના આધારે કસ્ટમ વિભાગમાં બોન્ડ સાથે અરજી આપી છે. એ એક વખત મળે એટલે આયાત કરવામાં આવતો કાચો માલ ડ્યુટી ફ્રી ! છે ને મિનિમમ ગર્વમેન્ટ, મેક્સીમમ ગર્વનન્સ જેવી વાત !
એક વખત કાચો માલ આવી જાય એ બાદમાં સમય મર્યાદામાં તેમાં વેલ્યુ એડિશન, પ્રોસેસ કરી ઉત્પાદન કરીને નિયત સમય મર્યાદામાં નિકાસ કરવાની રહે છે.
સામાન્ય રીતે 18 માસમાં આ પ્રક્રીયા પૂર્ણ કરવાની રહે છે. વડોદરામાં આગામી દિવસોમાં વાયબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સ યોજાવાની છે, ત્યારે તેમાં આવા મુદ્દાઓની પણ ચર્ચા થશે.
હવે જોઇએ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જાહેર કરવામાં આંકડા ! તે એવું દર્શાવે છે કે, ગયા વર્ષે ઇમ્પોર્ટર એક્સપોર્ટર કોડ ધરાવતા ઉદ્યોગોમાં 7.9 ટકામાં વધારો નોંધાયો છે. આ બાબત સમગ્ર ભારતમાંથી વિદેશ વેપારમાં વૃ્દ્ધિ થઇ રહી હોવાનું દર્શાવે છે. એમાં ખાસ કરીને વિદેશ વેપાર નીતિ – 2023 ના કારણે જિલ્લા કક્ષાએથી પણ નિકાસને પ્રોત્સાહન મળ્યું છે અને કાચામાલની આયાત ડ્યુટીમાં રાહત મળતા ઉત્પાદન ખર્ચો ઘટ્યો છે. વળી, પ્રક્રિયાગત કાર્યવાહી સરળ અને ડિઝીટલ કરવામાં આવતા નિકાસકારોને ફાયદો થયો છે.
હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અહીંથી નિકાસ પ્રવૃત્તિ બહુ જ વેગવાન છે. મધ્ય ગુજરાતની આ પ્રગતિ માત્ર ભૂતકાળ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તાજેતરના વર્ષોમાં પણ આ ગતિ જળવાઈ રહી છે. વર્ષ 2022-23 થી લઈને વર્ષ 2024-25ના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતના નિકાસકારોએ 3242 નવા એડવાન્સ ઓથોરાઈઝેશન મેળવ્યા છે.
ઉક્ત એડવાન્સ ઓથોરાઇઝેશનના આધારે મધ્ય ગુજરાતના ઉદ્યોગકારોએ 42830 કરોડના કાચા માલની આયાત કરી હતી અને આ માલનું પુનઃઉત્પાદન, વેલ્યુ એડિશન કરીને 56084 કરોડના માલની નિકાસ કરી હતી. જો તુલના કરવામાં આવે તો 13542 કરોડનું ચોખ્ખુ વેલ્યુએડિશન કરી નિકાસ કરવામાં આવ્યું છે.
દેશના વિદેશી હુંડિયામણમાં આટલી મોટી વૃદ્ધિ કરવામાં મધ્ય ગુજરાતનો આટલો ફાળો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી રીતે નિકાસને આપવામાં આવી ગતિ !
ઉદ્યોગ જગતના નિષ્ણાંતો મધ્ય ગુજરાત આ શાનદાર પ્રદર્શન પાછળ અહીંના વૈવિધ્યસભર ઉત્પાદન ક્ષેત્રને મુખ્ય કારણ માને છે. વડોદરામાં કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, એન્જિનિયરિંગ ગુડ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને પ્લાસ્ટિક ઉદ્યોગોનું ખૂબ જ મોટું નેટવર્ક છે.
આ ઉપરાંત વડોદરા ભૌગોલિક રીતે ગુજરાતના ઔદ્યોગિક કોરિડોર પર આવેલું હોવાથી અને તેને હજીરા તથા મુંદ્રા જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના મોટા બંદરો સાથે સીધી અને સરળ કનેક્ટિવિટી મળતી હોવાથી અહીંના માલને વૈશ્વિક બજારોમાં મોકલવો ખૂબ જ સરળ અને સસ્તો બને છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર મોદીની સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવાની નીતિ અને ઉદ્યોગકારોના પુરુષાર્થના કારણે મધ્ય ગુજરાતમાંથી નિકાસ વધી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ