
પાટણ, 16 જૂન (હિ.સ.)પાટણવાડા ચૌધરી સમાજ દ્વારા હરિદ્વારના ગંગા તટ પર આવેલા ઉમિયાધામ ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. લોકસેવા ચેરિટેબલ ટ્રસ્ટ, પાટણ દ્વારા ‘વડીલ વંદના’ કાર્યક્રમ અંતર્ગત 270 વડીલોને ટ્રેન અને બસ મારફતે હરિદ્વાર લઈ જવામાં આવ્યા છે.
કથાનું વાચન દરરોજ સવારે 8:00 થી 12:00 વાગ્યા સુધી રામ સેવા આશ્રમ, નજૂપુરાના વક્તા બટુક બાપુ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન પિતૃ મોક્ષ સંકલ્પ, પોથી યાત્રા, ગંગા સંકલ્પ સ્નાન, હરિદ્વાર દર્શન અને ગંગા આરતી જેવા ધાર્મિક આયોજનો પણ યોજાઈ રહ્યા છે.
યાત્રા દરમિયાન વડીલોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, પાટણ દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે. સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરો વડીલોની સેવા માટે સતત કાર્યરત છે.
મુખ્ય આયોજકો કુબેરભાઈ ચૌધરી અને શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે દર વર્ષે આવા ધાર્મિક કાર્યક્રમો સાથે વડીલ વંદનાનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા સમાજના આગેવાનો, યુવાનો અને દાતાઓએ પણ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ