
પાટણ, 16 જૂન (હિ.સ.)રાજ્ય સરકારના ‘12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન હેઠળ પાટણ જિલ્લામાં જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધપુર તાલુકાના કાકોશી, સરસ્વતી તાલુકાના મોટા નાયતા અને હારીજ તાલુકાના જૂના માંકા ખાતે યોજાયેલી આ શિબિરોમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો.
શિબિરોમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આવકના દાખલા, જાતિના દાખલા, આધારકાર્ડ અપડેશન, આરોગ્ય, સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ, કૃષિ સહાય તેમજ શ્રમયોગી કલ્યાણ સંબંધિત સેવાઓ અને માહિતી સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા સરકારની યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવાનો પ્રયાસ થાય છે. એક જ સ્થળે વિવિધ વિભાગોની સેવાઓ મળતાં નાગરિકોના સમય અને ખર્ચમાં બચત થાય છે તેમજ સરકારી સેવાઓ વધુ સરળ અને સુલભ બને છે.
શિબિરો દરમિયાન લાભાર્થીઓના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું અને વિવિધ યોજનાઓ હેઠળ અરજીઓ સ્વીકારી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ જિલ્લાના વિવિધ ગામોમાં આવી જનકલ્યાણ શિબિરો યોજી વધુમાં વધુ નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ