
સુરત, 16 જૂન (હિ.સ.): આગામી તા.21મી જુને વિશ્વભરમાં 12માં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરવામાં કરવામાં આવશે. જેના અનુસંધાને સુરતના ઉધના સ્થિત છત્રપતિ શિવાજી સ્પોર્ટ સંકુલ, વિજયાનગર ખાતે એક દિવસીય કોમન પ્રોટોકોલ યોગ શિબિર યોજાઈ હતી. આયુષ મંત્રાલય, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આંતરરાષ્ટ્રીય નેચરોપેથી ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી યોગ શિબિરમાં ૬૦૦થી વધુ યોગસાધકોએ ભાગ લઇ યોગ થકી સ્વસ્થ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો સંદેશ પાઠવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય નેચરોપેથી ઓર્ગેનાઈઝેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અનંતબિરદારજીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય નેચરોપેથી ઓર્ગેનાઈઝેશન-ગુજરાતના જનરલ સેક્રેટરી તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડીનેટર વિજયભાઈ શેઠ દ્વારા યોગ પ્રશિક્ષણ તેમજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અને કોમન યોગ પ્રોટોકોલની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. સાથે જ યોગ પ્રશિક્ષકોને નિમણૂક પત્ર અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના દક્ષિણ ઝોનના કો.ઓ. ડો.પારૂલબેન, સંતોષભાઈ પાટીલ, યોગ ટ્રેનરો, વિવિધ વોર્ડના કોર્પોરેટરઓ કાર્યકર્તામિત્રો અને મોટી સંખ્યામાં યોગસાધકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે