
નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) રાષ્ટ્રીય પાત્રતા-સહ-પ્રવેશ પરીક્ષા-સ્નાતક (નીટ-યુજી)ની 21 જૂને યોજાનારી પુનઃપરીક્ષા સુરક્ષિત અને નિષ્પક્ષ રીતે યોજાઈ શકે તે માટે, કેન્દ્ર સરકારે ભારતમાં ટેલિગ્રામ પ્લેટફોર્મ પર 22 જૂન સુધી અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે. આ પગલું સંગઠિત નકલ અને સાયબર છેતરપિંડીના ગેંગો દ્વારા ઉમેદવારોને ઠગવાના તેમજ ‘પેપર લીક’ સંબંધિત પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા માટે લેવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એનટીએ)એ જણાવ્યું છે કે, ભારતમાં ટેલિગ્રામ પ્લેટફોર્મ પર મર્યાદિત સમય માટે પ્રતિબંધ લગાવવાનો અને તેના મેસેજ એડિટિંગ ફીચર પર રોક લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એનટીએએ મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ, 2000ની કલમ 69એ હેઠળ જારી નિર્દેશો અનુસાર ભારતમાં ટેલિગ્રામની પહોંચ 22 જૂન સુધી મર્યાદિત રહેશે. ઉપરાંત, પ્લેટફોર્મને 30 જૂન સુધી ભારતમાં અગાઉ પોસ્ટ કરાયેલા સંદેશોના સંપાદનની સુવિધા નિષ્ક્રિય કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે.
એજન્સીએ જણાવ્યું કે, ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્ર (આઇ4સી), ગૃહ મંત્રાલય, વિવિધ રાજ્યોની પોલીસ અને ઇલેક્ટ્રોનિક્સ તથા માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (એમઇઆઇટીવાય) છેલ્લા કેટલાક અઠવાડિયાથી ટેલિગ્રામ પર સક્રિય નકલી ચેનલો, જૂથો અને બોટ્સ સામે કાર્યવાહી કરી રહ્યા હતા. એનટીએ અનુસાર, અનેક એવા ચેનલો દૂર કરવામાં આવ્યા, જે નીટ પ્રશ્નપત્ર ઉપલબ્ધ કરાવવાના નામે ઉમેદવારો અને તેમના પરિવારજનો પાસેથી હજારોમાંથી લઈને લાખો રૂપિયા સુધીની માંગ કરી રહ્યા હતા.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે, “પેપર લીક નીટ”, “રી-નીટ 2026”, “પ્રાઇવેટ માફિયા” અને “રી નીટ માફિયા” જેવા નામોથી સંચાલિત ચેનલો કથિત રીતે પુનઃપરીક્ષાનું પ્રશ્નપત્ર ઉપલબ્ધ કરાવવાનો દાવો કરી રહ્યા હતા, જ્યારે પરીક્ષાનું પ્રશ્નપત્ર સુરક્ષિત પરીક્ષા શ્રેણીથી બહાર ઉપલબ્ધ નથી અને આવા તમામ દાવા સંપૂર્ણપણે ઠગાઈ છે.
એનટીએએ વધુમાં જણાવ્યું કે, ટેલિગ્રામના મેસેજ એડિટિંગ ફીચરનો દુરુપયોગ કરીને કેટલાક મામલામાં પરીક્ષા પૂર્ણ થયા બાદ વાસ્તવિક પ્રશ્નપત્રને જૂના સંદેશોમાં જોડીને તેને પહેલાંથી ઉપલબ્ધ હોવાનો ખોટો પુરાવો રજૂ કરવામાં આવ્યો. મંત્રાલયના નિર્દેશો આવી નકલી સામગ્રી તૈયાર કરવાની શક્યતા રોકવાના હેતુથી જારી કરવામાં આવ્યા છે.
એજન્સીએ બિહાર પોલીસની આર્થિક અપરાધ એકમ દ્વારા જારી જાહેર ચેતવણી અને અમદાવાદ સાયબર ક્રાઇમ શાખાની કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો. એનટીએ અનુસાર અમદાવાદમાં એક આંતરરાજ્યીય સાયબર ઠગાઈ ગેંગના સભ્યોને ધરપકડ કરવામાં આવી, જે ટેલિગ્રામના આઠ ચેનલોનું સંચાલન કરી રહ્યા હતા. તપાસમાં લગભગ 1.5 કરોડ રૂપિયાના લેવડદેવડ અને એક મહિનામાં લગભગ એક હજાર મોબાઇલ નંબરો સાથે સંપર્કના પુરાવા મળ્યા છે.
એનટીએએ જણાવ્યું કે, ટેલિગ્રામનો ઉપયોગ કરતા લાખો વૈધ વપરાશકર્તાઓને થતી અસુવિધા બદલ તેને ખેદ છે, પરંતુ આ પગલું માત્ર પરીક્ષા અવધિ સુધી સીમિત છે અને તેનો હેતુ પરીક્ષાની સુરક્ષા સુનિશ્ચિત કરવો છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું કે, નીટ (યુજી) 2026ની પુનઃપરીક્ષા 21 જૂને નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજાશે. ઉમેદવારો અને વાલીઓને અપીલ કરવામાં આવી છે કે, તેઓ કોઈપણ અસમર્થિત માહિતી પર વિશ્વાસ ન કરે અને માત્ર એનટીએની અધિકૃત વેબસાઇટ તથા પ્રમાણિત સોશિયલ મીડિયા માધ્યમો પરથી મળતી માહિતી પર જ વિશ્વાસ રાખે.
એનટીએએ વધુમાં જણાવ્યું કે, કોઈપણ પ્રકારની ઑનલાઇન અથવા ઑફલાઇન છેતરપિંડીની માહિતી રાષ્ટ્રીય સાયબર અપરાધ હેલ્પલાઇન 1930 અથવા રાષ્ટ્રીય સાયબર અપરાધ રિપોર્ટિંગ પોર્ટલ પર આપી શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ