



પોરબંદર, 16 જૂન (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનસેવક તરીકેના સફળ, જનકલ્યાણલક્ષી અને વિકાસલક્ષી શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદર જિલ્લામાં આયોજિત ‘પ્રગતિ પથ યાત્રા’ના બીજા તબક્કા અંતર્ગત સામાજિક સંસ્થાઓ, એનજીઓના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓએ જિલ્લાના વિવિધ વિકાસકાર્યો તથા જનસુવિધા પ્રોજેક્ટોની સ્થળ મુલાકાત લીધી હતી.
યાત્રા દરમિયાન પ્રતિનિધિમંડળે આઈ.ટી.આઈ., મેડિકલ કોલેજ, સોમનાથ–દ્વારકા નેશનલ હાઇવે, આર.ટી.ઓ. કચેરી, ખાપટ સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ડાયેટ ભવન, સ્પોર્ટ્સ સંકુલ, ગોસા ખાતેના મોકરસાગર પ્રવાસન વિકાસ પ્રોજેક્ટ, ટુકડા ગોસા પ્રાથમિક શાળા, ભડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પી.એચ.સી.) તેમજ માધવપુર ખાતે પ્રવાસન વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલા રુક્ષ્મણી મંદિર અને ચોરી માયરા સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન વિવિધ સંસ્થાઓમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ, વિકાસકાર્યોની પ્રગતિ, શૈક્ષણિક અને આરોગ્ય સેવાઓ, રમતગમત તેમજ પ્રવાસન ક્ષેત્રે સર્જાયેલી સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. યાત્રામાં જોડાયેલા પ્રતિનિધિઓએ વિકાસકાર્યોનું નિરીક્ષણ કરી સરકાર દ્વારા જનહિતમાં વિiવિધ પ્રોજેક્ટોની જાણકારી મેળવી હતી.
આ પ્રગતિ પથ યાત્રાના બીજા તબક્કામાં સંયુક્ત કમિશનર અને જિલ્લા ઉદ્યોગ ભવનના જનરલ મેનેજર ડી. આર. પરમાર, જિલ્લા આયોજન અધિકારી જે. સી. ઠાકોર, રસિક બાપા રોટલાવાળા ટ્રસ્ટના પદુભાઈ રાયચુરા, બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશ પાંજરી, એનજીઓ કો-ઓર્ડિનેટર લાખણશી ગોરાણીયા સહિત સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya