
અમદાવાદ,16 જૂન (હિ.સ.) ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂને ચોમાસું બેસી જતું હોય છે અને 30 જૂન સુધીમાં આખા રાજ્યમાં વરસાદ પડે છે પરંતુ, આ વર્ષે 15 જૂન વિતી ગયા બાદ પણ હજી ચોમાસાનું આગમન થયું નથી.
અલનીનોની અસરને કારણે આ વર્ષે ચોમાસું નબળું રહેવાની શક્યતા છે. વધતી ગરમીના કારણે વાદળોની રચનામાં અસર જોવા મળી રહી છે.
સામાન્ય રીતે એક મહિનામાં 4-5 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળતા હોય છે, જ્યારે આ વખતે એક મહિનામાં 10-12 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોંધાયા છે. આ બદલાયેલા માહોલ વચ્ચે 22 થી 26 જૂન દરમિયાન ચોમાસાનું આગમન થવાના સંકેત છે.
હવામાન પરિસ્થિતિ અંગે ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં પશ્ચિમ વિક્ષેપના કારણે વરસાદ રહેવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં આશરે 30 ટકા ઓછો વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અલનીનોની અસર વધુ જોવા મળશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી ગુજરાતમાં સત્તાવાર ચોમાસાના આગમનનું કોઈ પૂર્વાનુંમાન નથી. મહારાષ્ટ્ર સંપૂર્ણ કવર થયા બાદ જ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. આ વર્ષે ચોમાસું બેસવા માટે હજી રાહ જોવી પડી શકે છે.
ચોમાસું મોડું પડતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થઈ શકે છે. અલનીનોના કારણે IMD દ્વારા સામાન્ય કરતા ઓછા વરસાદની શક્યતા વ્યકત કરી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન ચોમાસું સામાન્ય કરતા સારું રહેતું આવ્યું છે.
ગુજરાતમાં ચોમાસું 15 જૂન વિતી ગયા બાદ પણ રાજ્યમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી ન થતા ચિંતાના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગના મતે આગામી ચાર પાંચ દિવસમાં ચોમાસું તેલંગાણા, ઓડિશા, ઝારખંડા અને બિહારમાં આગળ વધશે. મહારાષ્ટ્ર સંપુર્ણ કવર થયા બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા છે. જો કે તે ક્યાં સુધીમાં પહોંચશે તેનું કોઈ પૂર્વાનુમાન કરાયું નથી.
હવામાન વિભાગના મતે ગુજરાતમાં 15 જૂને સત્તાવાર ચોમાસું બેસી જતું હોય છે.
છેલ્લા બે વર્ષની વાત કરીએ તો, 2025માં 16મી જૂને બેસ્યું હતું. જ્યારે 2024માં 3 દિવસ વહેલા એટલે કે 12મી જૂને જ ચોમાસું બેસી ગયું હતું.
અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી દિવસોમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જોકે, શહેરમાં હજુ પણ ગરમીથી બહુ મોટી રાહત મળે તેમ નથી.
અમદાવાદમાં સોમવારે મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં +0.9 ડિગ્રી વધુ હતું. તો લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી દિવસોમાં પણ પારો 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જળવાઈ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ