
સિલવાસા,16 જૂન (હિ.સ.) સિલવાસાના પિપરિયા સ્થિત આંબેડકર નગર પ્રધાનમંત્રી આવાસ કોલોનીમાં છેલ્લા એક સપ્તાહથી સર્જાયેલી પાણીની ગંભીર સમસ્યાનો અંત આવ્યો છે. સોમવારે નગર પાલિકા પ્રમુખ સોમનાથ દેવરેની તાત્કાલિક હસ્તક્ષેપ બાદ તૂટેલી પાણીની પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવ્યું અને કોલોનીમાં ફરીથી પાણીનો પુરવઠો શરૂ કરવામાં આવ્યો.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ છેલ્લા એક અઠવાડિયાથી કોલોનીની મુખ્ય પાણીની પાઇપલાઇન તૂટી જવાથી હજારો લિટર પીવાનું સ્વચ્છ પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું હતું, જ્યારે રહેવાસીઓના ઘરોમાં પાણી પહોંચતું નહોતું. પાણીની અછતને કારણે કોલોનીમાં રહેતા લોકો વચ્ચે વારંવાર તણાવ અને વિવાદની સ્થિતિ સર્જાઈ રહી હતી.
સોમવારે સવારે સમસ્યાની જાણ નગર પાલિકા પ્રમુખ સોમનાથ દેવરે સુધી પહોંચતા તેમણે તરત જ મામલો હાથમાં લીધો હતો. તેઓ પોતાની ટીમ સાથે પિપરિયા આંબેડકર નગર પ્રધાનમંત્રી આવાસ કોલોની ખાતે પહોંચ્યા હતા અને રહેવાસીઓની રજૂઆતો સાંભળી હતી.
રહેવાસીઓએ જણાવ્યું હતું કે એક સપ્તાહથી પાઇપલાઇન તૂટી હોવા છતાં સમારકામ ન થતા પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. પાણીના અભાવે લોકો વચ્ચે મતભેદ અને ઝઘડાની સ્થિતિ પણ ઉભી થઈ હતી.
સમસ્યાની ગંભીરતા ધ્યાનમાં રાખી પાલિકા પ્રમુખે સ્થળ પર જ ટેકનિકલ સ્ટાફને તાત્કાલિક કામગીરી શરૂ કરવા સૂચના આપી હતી. કર્મચારીઓએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી તૂટેલી પાઇપલાઇનનું સમારકામ શરૂ કર્યું હતું.
કેટલાક કલાકોની સતત મહેનત બાદ પાઇપલાઇન સંપૂર્ણપણે કાર્યરત બનાવવામાં આવી હતી. પાણીનો પુરવઠો પુનઃ શરૂ થતાં કોલોનીના રહેવાસીઓમાં રાહત અને આનંદની લાગણી જોવા મળી હતી.
પાણીની સમસ્યાનો ઉકેલ આવતા અને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોનો અંત આવતા રહેવાસીઓએ નગર પાલિકા પ્રમુખ સોમનાથ દેવરે તથા પાલિકા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha