


વડોદરા , 17 જૂન (હિ.સ.)
વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટની પાછળ આવેલ હિંમત ભવન વિસ્તારમાં, આજે એક ગંભીર ઘટના સામે આવી છે. અંદાજે 10 થી 15 મકાનો આવેલા આ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર આવેલ એક વેપારીનું લગભગ 80 થી 90 વર્ષ જૂનું જર્જરિત મકાન આજે ભાગે ધરાશાયી થયું હતું.
સદ્નસીબે, ઘટના સમયે ત્યાંથી કોઈ વ્યક્તિ પસાર ન થવાને કારણે, મોટી જાનહાની ટળી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ મકાન ઘણા સમયથી ખરાબ હાલતમાં હતું અને તેની અંગે વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે, મકાન માલિકને પણ વારંવાર જાણ કરવામાં આવી હતી, પરંતુ માલિક તરફથી બેદરકારીભર્યો જવાબ મળ્યો હતો. “તમારે જે કરવું હોય તે કરો, મને કોઈ લેવાદેવા નથી” તેવી પ્રતિક્રિયા માલિક દ્વારા આપવામાં આવી હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
સ્થાનિકોમાં ભયનો માહોલ છે કે, જો આવી જ સ્થિતિ યથાવત રહેશે તો ભવિષ્યમાં કોઈ મોટી જાનહાની થવાની શક્યતા નકારી શકાય નહીં. હવે તેઓ તાત્કાલિક ધોરણે આવા જર્જરિત મકાનોને દૂર કરવાની અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ