


પોરબંદર, 17 જૂન (હિ.સ.) : પોરબંદર તાલુકાના ભારવાડા ગામના ખેડૂતો દ્વારા ગામની ખેતીની જમીનો પર ચાલી રહેલી ડિમોલિશન અને સંપાદન પ્રક્રિયા સામે ઉગ્ર વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
ખેડૂતોનું કહેવું છે કે ગામની સીમમાં આવેલી ફળદ્રુપ જમીનો વર્ષોથી ખેતી માટે ઉપયોગમાં લેવાઈ રહી છે અને આ જમીનોના આધારે અનેક પરિવારોનું ગુજરાન ચાલે છે. તેમ છતાં આ જમીનોને ઔદ્યોગિક હેતુસર જીઆઈડીસી માટે ફાળવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આવેદનપત્રમાં જણાવાયું છે કે વર્ષ 1955 દરમિયાન કેટલીક જમીનો કેનાલ અને ડેમ સંબંધિત હેતુઓ માટે સંપાદિત કરવામાં આવી હતી. પરંતુ સમય જતાં ડેમની ઉપયોગિતા ઘટી ગઈ અને ત્યારબાદ આ જમીનોમાં સ્થાનિક ખેડૂતો દ્વારા ખેતી શરૂ કરવામાં આવી હતી. વર્ષો સુધી ખેડૂતો દ્વારા આ જમીનોમાં ખેતી કરવામાં આવી રહી છે અને ખેતીલાયક બનાવવા માટે લાખો રૂપિયાનું રોકાણ પણ કરવામાં આવ્યું છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર જમીનોમાં વાવેતર, સિંચાઈ, ફેન્સિંગ સહિતના વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે, જેના કારણે હાલ આ જમીનો સંપૂર્ણ રીતે ઉપજાઉ બની ગઈ છે.ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર પાસે પહેલેથી જ મોટી માત્રામાં પડતર અને બિનઉપયોગી સરકારી જમીનો ઉપલબ્ધ હોવા છતાં ખાસ કરીને ઉપજાઉ ખેતીની જમીનોને જ નિશાન બનાવવામાં આવી રહી છે. ઉપરાંત અગાઉ જીઆઈડીસી અને અન્ય ઔદ્યોગિક પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલી અનેક જમીનો આજે પણ ખાલી પડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આવા સંજોગોમાં ખેડૂતોની આજીવિકાનો આધાર બનેલી જમીનો છીનવી લેવાનો પ્રયાસ અન્યાયી હોવાનું ખેડૂતો માની રહ્યા છે.
આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે ડિમોલિશનની નોટિસો અને કાર્યવાહીથી ખેડૂતોમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. ઘણા ખેડૂતો આર્થિક રીતે નબળી સ્થિતિમાં હોવાથી ખેતી સિવાય તેમની પાસે અન્ય કોઈ આવકનું સાધન નથી. જો જમીનો છીનવાઈ જશે તો અનેક પરિવારો બેરોજગાર બની જશે અને ગામની અર્થવ્યવસ્થા પર પણ ગંભીર અસર પડશે. ખેડૂતોએ સરકાર સમક્ષ ડિમોલિશનની કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરવા, ખેડૂતોના હક્કોનું રક્ષણ કરવા અને ખેતીની જમીનોને બચાવવા યોગ્ય નિર્ણય લેવા માંગ કરી છે. માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કાયદાકીય લડત ઉપરાંત લોકશાહી ઢબે આંદોલન શરૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya