


વડોદરા, 17 જૂન (હિ.સ.) : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા તાંદલજા વિસ્તારમાંથી ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાંદલજા રોડ પર આવેલી અનસપાર્ક સોસાયટીમાં ગત રાત્રિ દરમિયાન તસ્કરોએ આતંક મચાવીને બે બંધ મકાનોને પોતાનો નિશાન બનાવ્યા હતા.
આ ઘટનામાં ચોરો લાખો રૂપિયાની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સૌથી દુઃખદ બાબત એ છે કે, ભોગ બનનાર પરિવારના ઘરમાંથી દીકરીના લગ્ન માટે ખરીદેલી કિંમતી સામગ્રી અને દાગીનાની પણ ચોરી થઈ ગઈ છે, જેના કારણે પરિવાર ભારે આઘાતમાં સરી પડ્યો છે.મળતી માહિતી અનુસાર, તસ્કરોએ ખૂબ જ સાવચેતીપૂર્વક અને આયોજનબદ્ધ રીતે આ ચોરીને અંજામ આપ્યો હતો. રાત્રિના અંધકારનો લાભ લઈને સોસાયટીમાં ઘૂસેલા ચોરોએ પકડાઈ જવાના ડરથી મકાનની આસપાસ લગાડેલા સીસીટીવી (CCTV) કેમેરા પણ તોડી નાખ્યા હતા, જેથી તેમના કોઈ પુરાવા પોલીસને ન મળી શકે. ચોરીની આ ઘટના બની ત્યારે એક મકાનમાં ઉપરના માળે આખો પરિવાર ગાઢ નિદ્રામાં સૂઈ રહ્યો હતો. તસ્કરોએ નીચેના ભાગને ટાર્ગેટ કર્યો હતો અને પરિવારને જરાય ભનક ન લાગે તે રીતે નીચેના રૂમોના તાળાં તોડીને રોકડ તથા કિંમતી સામાનની ચોરી કરીને સહેલાઈથી ફરાર થઈ ગયા હતા. રોજિંદા ક્રમ મુજબ, જ્યારે પરિવાર સવારે વહેલા 8:00 વાગ્યે જાગ્યો ત્યારે તેમને આ સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. નીચે આવીને જોતા ઘરનો સામાન વેરવિખેર હતો અને તાળાં તૂટેલાં હતાં, જેથી ઘરમાં મોટી ચોરી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ બાબતે પરિવારે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ઘટનાની જાણ કરી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સોસાયટીના રહીશોની પૂછપરછ શરૂ કરી છે અને આસપાસના અન્ય કેમેરાના ફૂટેજ મેળવવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં પણ ભારે ફફડાટ અને અસલામતીનો માહોલ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ