
મહેસાણા, 17 જૂન (હિ.સ.) : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ ખાતે આજ રોજ આયુષ્યમાન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં કડી તાલુકા પ્રમુખ સહિત સ્થાનિક આગેવાનો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શિબિર દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ લાભાર્થીઓને યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, જેના લાભથી વંચિત ન રહેવા દરેક નાગરિકે જરૂરી દસ્તાવેજો સાથે નોંધણી કરાવવી જોઈએ. શિબિર દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, આરોગ્યલક્ષી સેવાઓ, સામાજિક સુરક્ષા યોજનાઓ તેમજ અન્ય જનકલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ઉપસ્થિત અધિકારીઓએ લાભાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ સાથે જરૂરી અરજીઓ અને દસ્તાવેજી પ્રક્રિયામાં સહાયતા પણ પૂરી પાડી હતી. ગ્રામજનોએ શિબિરનો ઉત્સાહભેર લાભ લીધો હતો. આયોજકો દ્વારા આગામી સમયમાં પણ આવા લોકઉપયોગી કાર્યક્રમો યોજી વધુમાં વધુ લોકોને સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે પ્રયાસો કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR