
પાટણ, 17 જૂન (હિ.સ.) : પાટણ શહેરમાંથી આગામી 16 જુલાઈએ નીકળનારી ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને સફળ બનાવવા માટે તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. આ સંદર્ભે જગન્નાથ મંદિર પરિસરમાં યોજાયેલી બેઠકમાં રથયાત્રાના સુચારુ આયોજન માટે વિવિધ સમિતિઓની સર્વાનુમતે રચના કરવામાં આવી હતી. બેઠકમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના ચેરમેન પિયુષ આચાર્યે ભક્તોનું સ્વાગત કરી રથયાત્રા દરમિયાન યોજાનારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની માહિતી આપી હતી. તેમણે તમામ સમિતિના સભ્યોને એકતા સાથે કાર્ય કરી આ વર્ષની રથયાત્રાને ઐતિહાસિક અને યાદગાર બનાવવા અપીલ કરી હતી.
ટ્રસ્ટી વિનોદ જોશીએ વિવિધ કમિટીઓના સભ્યોની નામાવલી જાહેર કરી હતી અને રથયાત્રામાં સેવા આપવા ઇચ્છુક ભક્તોને આગામી સાત દિવસમાં પોતાના નામની નોંધણી કરાવવા અનુરોધ કર્યો હતો. ટ્રસ્ટી પ્રવીણ બારોટે રથયાત્રાને પાટણ શહેરનું ગૌરવ ગણાવી તમામ સભ્યોને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાની અપીલ કરી હતી.
બેઠકમાં ઉપસ્થિત ભક્તોએ પણ પોતાના સૂચનો અને મંતવ્યો રજૂ કરી રથયાત્રાના સફળ આયોજન માટે સહયોગની ખાતરી આપી હતી. અંતે ટ્રસ્ટી અશ્વિન જોશીએ આભારવિધિ કરી બેઠકનું સમાપન કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ