
પોરબંદર, 17 જૂન (હિ.સ.) : રાણાવાવમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આહિરવાડી વિસ્તારથી થોડે દૂર નિવાકણીધામ પાસે રોડ પર અજાણ્યા મોટરસાયકલ ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.
મળતી માહિતી મુજબ, આંબેડકરનગરના ચાકળીવાળી બાગ વિસ્તારમાં રહેતી ભારતીબેન ચંદુભાઈ વાઘેલા (ઉ.વ. 38) તેમના પતિ સાથે સ્કૂટી પર જઈ રહ્યા હતા. તે દરમિયાન આહિરવાડી વિસ્તાર નજીક નિવાકણીધામ પાસે પહોંચતા પાછળથી આવેલા એક અજાણ્યા મોટરસાયકલ ચાલકે બેદરકારીપૂર્વક અને પૂરઝડપે વાહન ચલાવી તેમની સ્કૂટીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતના કારણે ભારતીબેન અને તેમના પતિ રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. જેમાં ભારતીબેનને ડાબા હાથના ખભાની હાંસળીમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા તેમજ હોઠના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બનાવ બાદ મોટરસાયકલ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે ભારતીબેને પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા બાઈકચાલક સામે હિટ એન્ડ રન સહિતના ગુનાઓ હેઠળ કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya