
પાટણ, 18 જૂન (હિ.સ.) : પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસલક્ષી કામગીરી હેઠળ ભૂગર્ભ લાઇન અને કુંડીઓ બેસાડવા માટે દરગાહ નજીક તેમજ ઇકબાલ ચોક ખાતે મુલ્લાબાકરની મસ્જિદ પાસે ખોદકામ કરવામાં આવ્યું હતું. જોકે, કામગીરી પૂર્ણ થયા બાદ 15થી 20 દિવસ વીતી ગયા હોવા છતાં ખાડાઓ યોગ્ય રીતે પૂરવામાં આવ્યા નથી, જેના કારણે રસ્તાઓ પર જોખમી સ્થિતિ સર્જાઈ છે.
આ વિસ્તારની નજીક આશિષ વિદ્યાલય અને નરસિંહજી ભગવાનનું મંદિર આવેલું હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને રાહદારીઓની અવરજવર રહે છે. રસ્તાની વચ્ચે અને સાઇડમાં ખુલ્લા પડેલા ખાડાઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક આગેવાન ભૂરાભાઈ સૈયદે શાળાના બાળકો અને દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરવા અને સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ