


પોરબંદર, 18 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પ્રધાન સેવક’ તરીકેના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદર જિલ્લામાં બળેજ સહિત વિવિધ સ્થળોએ જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરોમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી મેળવી તેમજ વિવિધ સરકારી સેવાઓ અને લાભોનો લાભ મેળવ્યો હતો.
આ પ્રસંગે આગેવાન લીલા પરમારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલી આ જનકલ્યાણ શિબિરો ગ્રામજનો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. તેમણે જણાવ્યું કે આધાર કાર્ડ, વિધવા સહાય, નમોશ્રી સહિતની વિવિધ યોજનાઓ અને સેવાઓ માટે હવે ગામના લોકોને તાલુકા મથક સુધી જવાની જરૂર રહેતી નથી, કારણ કે અનેક સેવાઓ શિબિરના માધ્યમથી ગામ સ્તરે જ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેના કારણે ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે સરકારના આ લોકકલ્યાણકારી આયોજનને બિરદાવ્યું હતું. જિલ્લામાં બળેજ ઉપરાંત કુછડી, શિંગડા, રાતડી અને કાસાબડ ખાતે પણ જનકલ્યાણ શિબિરો યોજાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લઈ વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જનકલ્યાણ શિબિરો સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા તેમજ નાગરિકોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ માધ્યમ તરીકે સાબિત થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya