
જુનાગઢ, 19 જૂન (હિ.સ.) સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૩મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં તારકેશ્વર હુગલી ખાતેથી PM કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૩મો હપ્તો ઓનલાઈન રિલીઝ કરશે. તેના અનુસંધાને પી.એમ. કિસાન ઉત્સવ દિવસનું વિશેષ આયોજન કરાયું છે, જેનું ડિજિટલ માધ્યમથી જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.
વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમોનુ 20 જૂનના રોજ બપોરે ૩ કલાકે જિલ્લા કક્ષા તેમજ તમામ તાલુકા મથકો પર એક સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જૂનાગઢ જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ કૃષિ યુનિવર્સિટીના 'સરદાર પટેલ સભાગૃહ' ખાતે યોજાશે. તાલુકા કક્ષાના કાર્યક્રમ કેશોદ તાલુકાનો જૂનાગઢ રોડ પર આવેલ પેથલજી ચાવડા આહીર સમાજ, ભેસાણમાં શત્રભુજ ફાર્મર પ્રોડ્યુસર કંપની લી., માંગરોળ તાલુકામાં લોએજ ગામની એસ. ડી. બી. હાઈસ્કૂલ, માણાવદર તાલુકાના ખેડૂતો માટે સોરઠીયા આહીર સમાજ, માણાવદર ખાતે, માળિયા હાટીના તાલુકા માટે ખોરાસા (ગીર) મુકામે આવેલ પટેલ સમાજ, મેંદરડા તાલુકામાં એ.પી.એમ.સી. (APMC) મેંદરડા, વંથલી તાલુકામાં ધંધુસર મહેર સમાજ, વિસાવદર તાલુકામાં મંડાવડ સ્થિત વિસાવદર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ખાતે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ખેડૂતોને જોડાવવા માટે ખેતીવાડી ખાતા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ