
બોટાદ, 19 જૂન (હિ.સ.) : કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવાના હેતુથી અમલમાં મુકવામાં આવેલી “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” લાખો પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલી આ યોજના દ્વારા દેશના કરોડો લોકોને મફત અનાજ મળી રહ્યું છે, જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક રાહત મળી રહી છે.
બોટાદ જિલ્લામાં પણ આ યોજનાનો વ્યાપક લાભ લોકોને મળી રહ્યો છે. જિલ્લા પુરવઠા વિભાગની માહિતી મુજબ હાલમાં જિલ્લામાં ૧,૧૪,૭૬૫ કુટુંબો આ યોજના હેઠળ લાભાન્વિત થઈ રહ્યા છે. યોજનાના લાભાર્થીઓને જાહેર વિતરણ પ્રણાલી (રેશનિંગ) મારફતે દર મહિને નિઃશુલ્ક અનાજ આપવામાં આવે છે. આથી પરિવારોના ખાદ્ય ખર્ચમાં ઘટાડો થયો છે અને પોષણયુક્ત આહારની ઉપલબ્ધતા સુનિશ્ચિત બની છે.
ખાસ કરીને કોરોનાકાળ દરમિયાન શરૂ કરાયેલી આ યોજના ગરીબ વર્ગ માટે જીવનરક્ષક બની હતી. ત્યારબાદ પણ સરકાર દ્વારા યોજનાને સતત ચાલુ રાખવામાં આવી છે, જેના પરિણામે લાખો પરિવારોને રોજિંદા જીવનમાં મદદ મળી રહી છે. અનાજની સમયસર અને પારદર્શક વિતરણ વ્યવસ્થાના કારણે લોકોમાં સરકાર પ્રત્યે વિશ્વાસ પણ વધ્યો છે.
વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ખાદ્ય સુરક્ષા એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” માત્ર અનાજ વિતરણ સુધી મર્યાદિત નથી, પરંતુ ગરીબોના જીવનમાં સુરક્ષા, સન્માન અને આત્મવિશ્વાસનું સંચાર કરતી યોજના છે. બોટાદ જિલ્લાના હજારો પરિવારો માટે આ યોજના જીવનને વધુ સુખાકારી અને સુરક્ષિત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ યોજના સરકારના જનકલ્યાણ પ્રત્યેના પ્રતિબદ્ધ અભિગમનું ઉત્તમ ઉદાહરણ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA