તમિલનાડુ વિધાનસભાનો મેકેદાટુ બંધ પરિયોજના પર વિશેષ પ્રસ્તાવ, કેન્દ્ર પાસેથી મંજૂરી ન આપવાની માંગ
ચેન્નઈ, નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.). કર્ણાટક સરકારની પ્રસ્તાવિત મેકેદાટુ બંધ પરિયોજના વિરુદ્ધ તમિલનાડુ વિધાનસભામાં શુક્રવારે એક વિશેષ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી જોસેફ વિજયે ગૃહમાં પ્રસ્તાવ રજૂ કરતાં કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો કે, મેકેદ
મુખ્યમંત્રી જોસેફ વિજયે વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો


ચેન્નઈ, નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.). કર્ણાટક સરકારની પ્રસ્તાવિત મેકેદાટુ બંધ પરિયોજના વિરુદ્ધ તમિલનાડુ વિધાનસભામાં શુક્રવારે એક વિશેષ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી જોસેફ વિજયે ગૃહમાં પ્રસ્તાવ રજૂ કરતાં કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો કે, મેકેદાટુ બંધના નિર્માણ માટે કોઈપણ પ્રકારની તકનીકી, વહીવટી અથવા પર્યાવરણીય મંજૂરી આપવામાં ન આવે.

તમિલગા વેટ્રી કડગમ (ટીવીકે) સરકાર સત્તામાં આવ્યા પછી, વિધાનસભાનું પ્રથમ સત્ર ગુરુવારે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરના અભિભાષણ સાથે શરૂ થયું હતું. સત્રના બીજા દિવસે આજે રાજ્યપાલના અભિભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચા મુલતવી રાખીને સરકારનો વિશેષ પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો.

બેઠકની શરૂઆત પૂર્વ ધારાસભ્યો સી. રામાસામી, ડી. વીરાસામી, સી. સ્વામીનાથન, એચ.જી. આરુમુગમ, પી. કન્નન અને એ. નંજિલ મુરુગેશનના નિધન પર શોક પ્રસ્તાવ સાથે થઈ. ત્યારબાદ મહેસૂલ મંત્રી અને ગૃહના નેતા કે.એ. સેંગોટ્ટૈયને વિશેષ પ્રસ્તાવને ચર્ચા માટે લાવવાનો પ્રસ્તાવ મૂક્યો.

મુખ્યમંત્રી જોસેફ વિજયે પ્રસ્તાવ રજૂ કરતાં જણાવ્યું કે, કર્ણાટક સરકાર કાવેરી નદી પર મેકેદાટુમાં બંધ નિર્માણ માટે એકતરફી પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, આ પગલું 5 ફેબ્રુઆરી 2007 ના રોજ કાવેરી જળ વિવાદ ન્યાયાધિકરણના અંતિમ નિર્ણય તથા 16 ફેબ્રુઆરી 2018 ના રોજ ઉચ્ચતમ ન્યાયાલયના નિર્ણયની ભાવના વિરુદ્ધ છે. આ સાથે, સંબંધિત રાજ્યોની સંમતિ અને કેન્દ્ર સરકારની સ્વીકૃતિ વિના આ પરિયોજનાને આગળ વધારવાનો પ્રયાસ સ્વીકાર્ય નથી.

તેમણે કહ્યું કે, કાવેરી ન્યાયાધિકરણ અને ઉચ્ચતમ ન્યાયાલયે કાવેરી જળસંગ્રહ ક્ષેત્રને જળ-અછતવાળો વિસ્તાર ગણીને ઉપલબ્ધ જળની વહેંચણી સંબંધિત રાજ્યો વચ્ચે કરી દીધી છે. આવા સંજોગોમાં આ જળસંગ્રહ ક્ષેત્રમાં કોઈ નવી પરિયોજના કે વધારાની જળ સંગ્રહ યોજના લાગુ કરી શકાતી નથી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, કાવેરી જળ વિવાદ તમિલનાડુ અને કર્ણાટક બંને રાજ્યો માટે અત્યંત સંવેદનશીલ વિષય છે. તેથી કેન્દ્ર સરકાર એ સુનિશ્ચિત કરે કે અન્ય જળસંગ્રહ રાજ્યોની સંમતિ અને તેની પરવાનગી વિના મેકેદાટુ અથવા કાવેરી બેસિનના કોઈપણ અન્ય ભાગમાં કોઈ નવો બંધ કે જળાશય પરિયોજના શરૂ કરવામાં ન આવે.

વિશેષ પ્રસ્તાવમાં કેન્દ્રીય જળ આયોગને પણ વિનંતી કરવામાં આવી કે, તે કર્ણાટક સરકાર દ્વારા રજૂ કરાયેલ વિસ્તૃત પરિયોજના રિપોર્ટ (ડીપીઆર) પર વિચાર ન કરે, તેના પર કોઈ કાર્યવાહી ન કરે અને કોઈપણ પ્રકારની સ્વીકૃતિ પ્રદાન ન કરે.

ગૃહે સર્વસંમતિથી એમ પણ જણાવ્યું કે, મેકેદાટુ પરિયોજનાના વિરોધ અને તમિલનાડુના ખેડૂતોના હિતોના રક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ પગલાંને તેનું સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત છે.

પ્રસ્તાવ પસાર કરતાં તમિલનાડુ વિધાનસભાએ કેન્દ્ર સરકારને કર્ણાટક સરકારની મેકેદાટુ બંધ પરિયોજનાને કોઈપણ સ્તરે મંજૂરી ન આપવાની માંગનું પુનરાવર્તન કર્યું અને કાવેરી જળ વહેંચણી સાથે સંકળાયેલા હાલના ન્યાયિક અને વૈધાનિક જોગવાઈઓનું સખતપણે પાલન સુનિશ્ચિત કરવા વિનંતી કરી.

હિન્દુસ્થાન સમાચાર / ડો. વારા પ્રસાદ રાવ પીવી / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande