સંખેડા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: વાવણીલાયક વરસાદ પડતાં જગતનો તાત ખુશખુશાલ, કપાસના વાવેતરનો પ્રારંભ
છોટાઉદેપુર, 19 જૂન (હિ.સ.) સંખેડા પંથકના ખેડૂતો માટે લાંબી રાહ જોયા બાદ આખરે ખુશીના સમાચાર આવ્યા છે. સંખેડા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રિ દરમિયાન સાર્વત્રિક અને વાવણીલાયક વરસાદ નોંધાયો છે. આ અનુકૂળ વરસાદના પગલે સમગ્ર પંથકના ખેત
ખેડૂત


ખેડૂત


છોટાઉદેપુર, 19 જૂન (હિ.સ.) સંખેડા પંથકના ખેડૂતો માટે લાંબી રાહ જોયા બાદ આખરે ખુશીના સમાચાર આવ્યા છે. સંખેડા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રિ દરમિયાન સાર્વત્રિક અને વાવણીલાયક વરસાદ નોંધાયો છે. આ અનુકૂળ વરસાદના પગલે સમગ્ર પંથકના ખેતી કરતા ખેડૂતોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી અને ઉકળાટનો સામનો કરી રહેલા સ્થાનિક લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણમાં એકાએક સરસ ઠંડક પ્રસરી ગઈ છે.મેઘરાજાની પધરામણી થતાં જ જગતનો તાત ગણાતો ખેડૂત આજે સવારથી જ પોતાના ખેતરોમાં સક્રિય થઈ ગયો છે.

સંખેડા પંથકમાં કપાસ એ મુખ્ય રોકડિયો પાક હોવાથી, વરસાદ પડતાંની સાથે જ ખેડૂતો અને મજૂરો દ્વારા કપાસના બિયારણ (કપાસિયા) મુકવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

વહેલી સવારથી જ ખેતરોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. ખેડૂતો પોતાના ટ્રેક્ટરો લઈને ખેતરોની સાફ-સફાઈ અને ખેડાણની પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યા છે જેથી બિયારણ વ્યવસ્થિત રોપી શકાય. પુરુષ અને મહિલા મજૂરો હોંશે-હોંશે કપાસનું વાવેતર કરતા નજરે પડી રહ્યા છે.

વરસાદના કારણે જમીનમાં પૂરતો ભેજ હોવાથી આ વર્ષે કપાસનું સારું ઉત્પાદન થશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ગરમીના અસહ્ય પ્રકોપ બાદ પ્રકૃતિના આ આશીર્વાદથી સંખેડા પંથકનું જનજીવન અને કૃષિ ક્ષેત્ર ધમધમી ઉઠ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande