
વડોદરા, 02 જૂન (હિ.સ.)-વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકના ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ નારાયણદાસ પટેલનું દુઃખદ નિધન થયું છે. છેલ્લા એક અઠવાડિયાથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. લાંબા સમયથી હૃદય અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા યોગેશ પટેલના નિધનના સમાચારથી રાજકીય વર્તુળોમાં અને તેમના સમર્થકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
યોગેશ પટેલ,વડોદરાના રાજકારણમાં મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાતા હતા. તેમણે રાવપુરા અને માંજલપુર વિસ્તારની જનતાની લાંબા સમય સુધી સેવા કરી હતી અને વડોદરાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
-1990માં જનતા પાર્ટીની ટિકિટ પર પ્રથમ વખત રાવપુરાથી ધારાસભ્ય બન્યા હતા.
-1995માં ભાજપમાં જોડાયા હતા.
-રાવપુરા બેઠક પરથી 5 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
-માંજલપુર બેઠક પરથી સતત 3 વખત જીત મેળવી હતી.
-કુલ 8 વખત ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા.
વિદ્યાર્થી આંદોલનોથી રાજકારણમાં પ્રવેશ-
કોલેજકાળ દરમિયાન યોગેશ પટેલે, મોંઘવારી, દૂધ અને તેલના વધતા ભાવો સામે આંદોલનો કર્યા હતા. ઉપરાંત શાળાઓમાં વધતી ફી અને અનિયમિતતાઓ સામે વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ બનાવી ઉગ્ર આંદોલન ચલાવ્યું હતું. તેમના આંદોલનોની અસર રાજ્યથી લઈને દિલ્હી સુધી પહોંચી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે