
ધરમપુર,02 જૂન (હિ.સ.) ધરમપુર બ્રહ્મ સમાજ દ્વારા ભાગવતાચાર્ય શરદ વ્યાસની પ્રેરણાથી સ્વ. પુરુષોત્તમદાસ જીવનલાલ વ્યાસના સ્મરણાર્થે ચેમ્પિયન ટ્રોફી તથા સ્વ. જ્યોત્સના કિરીટભાઈ દેસાઈના સ્મરણાર્થે રનર્સઅપ ટ્રોફી સાથે “પરશુરામ કપ 2026 સીઝન-4 ” ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.ટુર્નામેન્ટમાં દક્ષિણ ગુજરાતની કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મુકાબલામાં ધરમપુરની પરશુરામ ઇલેવન ટીમે બગવાડા ઇલેવનને હરાવી ચેમ્પિયન ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. વિજેતા ટીમને ટ્રોફી શરદ વ્યાસના હસ્તે એનાયત કરવામાં આવી હતી, જ્યારે રનર્સઅપ ટ્રોફી કિરીટ દેસાઈના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ધરમપુરના મંથન ભટ્ટે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું. તેમણે બે અર્ધસદી નોંધાવી હતી તેમજ ફાઇનલ મેચમાં 9 સિક્સર અને 5 ફોરની મદદથી તોફાની 78 રન ફટકારી ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેમને “મેન ઓફ ધ મેચ”, “બેસ્ટ બેટ્સમેન” અને “મેન ઓફ ધ સિરીઝ” એમ ત્રણ પ્રતિષ્ઠિત ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે કિરીટ દેસાઈ, સોહમ દેસાઈ, યશ જાની, શિવ અગ્રાવત, ક્રિષ્ના જોશી અને કેવલ જાની સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha