
નવી દિલ્હી, 2 જૂન (હિ.સ.): તેલંગાણા સ્થાપના દિવસ નિમિત્તે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના અધ્યક્ષ, કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ રાજ્યના લોકોને શુભેચ્છા પાઠવી, તેમના ઉજ્જવળ ભવિષ્ય, સતત વિકાસ અને સમૃદ્ધિની કામના કરી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, તેમના એક્સ-પોસ્ટમાં તેલંગાણાના લોકોને અભિનંદન આપતા કહ્યું કે, રાજ્ય સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને મહેનતુ નાગરિકોથી ભરેલું છે. તેમણે જણાવ્યું કે, તેલંગાણાએ નવીનતા અને વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે અને રાજ્યના લોકોના સતત કલ્યાણ અને સમૃદ્ધિની કામના કરી છે.
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કહ્યું કે, તેલંગાણા તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને જીવંત પરંપરાઓ માટે જાણીતું છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યના લોકોની સર્જનાત્મકતા, નવીનતા, સખત મહેનત અને દ્રઢતાએ દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે આ પ્રસંગને વિકસિત ભારત બનાવવા માટે સામૂહિક પ્રયાસો માટે પ્રેરણા ગણાવ્યો.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ, તેલંગાણાને એક અનોખી સાંસ્કૃતિક ઓળખ, જીવંત પરંપરાઓ અને કુદરતી સૌંદર્ય ધરાવતું રાજ્ય ગણાવતા કહ્યું કે સ્થાપના દિવસ રાજ્યની વિકાસ યાત્રા અને સિદ્ધિઓનું પ્રતીક છે. તેમણે રાજ્યના લોકોની પ્રગતિ, સંવાદિતા અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, તેલંગાણા તેની જીવંત સંસ્કૃતિ અને ઉદ્યોગસાહસિક ભાવના માટે અનોખી રીતે જાણીતું છે. તેમણે રાજ્યની સતત પ્રગતિ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવીને કહ્યું કે તેની સિદ્ધિઓ ભારતનું ગૌરવ વધુ વધારશે.
કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલે, તેલંગાણા સ્થાપના દિવસ પર રાજ્યના લોકોને અભિનંદન આપતા કહ્યું કે, વારસો અને કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ આ રાજ્ય વિકાસ અને પ્રગતિના માર્ગ પર આગળ વધતું રહેવું જોઈએ. તેમણે તમામ નાગરિકોના જીવનમાં ખુશી, સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો થાય તેવી શુભેચ્છા પાઠવી.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે, તેલંગાણાની અનોખી કલા અને સંસ્કૃતિ, સમૃદ્ધ વારસો અને કુદરતી સૌંદર્ય પર પ્રકાશ પાડતા રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે, રાજ્ય વિકાસ અને પ્રગતિના માર્ગ પર આગળ વધતું રહેવું જોઈએ, અને તમામ લોકોના જીવનમાં ખુશી, સમૃદ્ધિ અને સુખાકારીનો વિસ્તાર થવો જોઈએ.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે, તેલંગાણાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, ભવ્ય ઇતિહાસ, લોક પરંપરાઓ અને વિવિધતાને શ્રદ્ધાંજલિ આપી અને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને કહ્યું કે તેલંગાણા તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને જીવંત જાહેર ભાવના માટે જાણીતું છે. તેમણે રાજ્યની સતત પ્રગતિ અને તેના નાગરિકોની ખુશી, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના કરી.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ, તેલંગાણા સ્થાપના દિવસને ભારતની લોકશાહી યાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવ્યો અને કહ્યું કે રાજ્યની રચના લાખો લોકોના સંઘર્ષ, બલિદાન અને આકાંક્ષાઓનું પરિણામ છે. તેલંગાણા ચળવળના શહીદોને શ્રદ્ધાંજલિ આપતા તેમણે કહ્યું કે, કોંગ્રેસ સરકાર પ્રજાલા તેલંગાણા ના સંકલ્પને સાકાર કરવા માટે કામ કરી રહી છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે, તેલંગાણાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, કલા અને સખત મહેનતની પ્રશંસા કરી અને રાજ્યની સતત પ્રગતિની કામના કરી.
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયએ, તેલંગાણાને ગૌરવશાળી ઇતિહાસ, જીવંત લોક પરંપરાઓ અને કુદરતી સૌંદર્યથી આશીર્વાદિત રાજ્ય ગણાવ્યું, અને તેની સતત પ્રગતિ અને સમૃદ્ધિની કામના કરી.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ