
પોરબંદર, 02 જૂન (હિ.સ.) પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પોરબંદરમાં એર કનેક્ટિવિટી પુનઃ શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. ઓમ ગ્રુપ ઓફ પોરબંદરના પ્રમુખ સંજય માળીએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદર ગાંધીજી અને સુદામાની નગરી તરીકે દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
રજૂઆતમાં જણાવાયું છે કે પોરબંદર દ્વારકા, સોમનાથ અને માધવપુર જેવા મહત્વના ધાર્મિક અને પ્રવાસન સ્થળોની વચ્ચે આવેલું હોવાથી અહીં પ્રવાસીઓની સતત અવરજવર રહે છે. ઉપરાંત કેશોદ, દીવ અને જામનગર જેવા વિસ્તારો સાથે પણ પોરબંદરનું મહત્વનું જોડાણ છે.
સંજય માળીએ જણાવ્યું હતું કે અગાઉ અમદાવાદ અને મુંબઈ માટે અઠવાડિયામાં બે ફ્લાઈટ સેવા ઉપલબ્ધ હતી, પરંતુ હાલમાં તે પણ બંધ થઈ ગઈ છે. જેના કારણે પ્રવાસીઓ, વેપારીઓ અને સ્થાનિક નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરનું પ્રતિનિધિત્વ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં કેબિનેટ સ્તરે થતું હોવા છતાં એર કનેક્ટિવિટીના મામલે શહેરને પૂરતો લાભ મળતો નથી. તેથી પોરબંદરથી અમદાવાદ અને મુંબઈ માટેની ફ્લાઈટ સેવા વહેલી તકે ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.ઓમ ગ્રુપ દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં એર સેવા પુનઃ શરૂ થવાથી પ્રવાસન, વેપાર અને સ્થાનિક વિકાસને નવી ગતિ મળશે તેમજ પોરબંદરના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya