
- અમદાવાદમાં અનેક નીચાણવાળા સ્થળોએ પાણી ભરાયા
- વડોદરામાં સોલાર પેનલો કાગળની જેમ ઉખડીને નીચે પડી
અમદાવાદ,02 જૂન (હિ.સ.) ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ જોવા મળી છે. હવામાન વિભાગની સત્તાવાર આગાહી વચ્ચે ગુજરાતમાં તોફાની વરસાદી માહોલ જામ્યો છે, અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં પ્રચંડ પવન સાથે ખાબકેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખરાબ હવામાન અને તેજ વાવાઝોડાના લીધે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ ન કરી શકેલી 7 જેટલી ફ્લાઇટોને તાત્કાલિક ધોરણે સુરત એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવાની ફરજ પડી છે.
વડોદરામાં વાવાઝોડાના પ્રચંડ વેગને લીધે મકાનોની છત પર લગાવવામાં આવેલી સોલાર પેનલો કાગળની જેમ ઉખડીને નીચે મેદાનમાં અને રસ્તા પર પટકાઈ હતી. સોલાર પેનલો ધરાશાયી થવાના કારણે સોસાયટીમાં મોટા પાયે આર્થિક નુકસાન થયું છે.
જોકે, રાહતની વાત એ છે કે આ સમગ્ર ઘટના દરમિયાન કોઈ પણ વ્યક્તિ તેની ચપેટમાં ન આવતા તમામ રહેવાસીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને મોટી જાનહાનિ ટળી છે.
અમદાવાદમાં ખરાબ વાતાવરણના પગલે અત્યાર સુધીમાં 7 ફ્લાઈટ અમદાવાદથી સુરત એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવામાં આવી છે.ખંભાત પંથકના વાતાવરણમાં રાત્રે 11.40 કલાકની આસપાસ એકાએક મોટો પલટો જોવા મળ્યો છે. ભારે ઝડપી પવન ફૂંકાવાની સાથે સમગ્ર પંથકમાં ધૂળની ડમરીઓ ઊડી હતી, જેના કારણે વિઝિબિલિટી ઘટતાં માર્ગો પરથી પસાર થતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ વાવાઝોડા જેવા તેજ પવન બાદ વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ