
જામનગર, 03 જૂન (હિ.સ.) :
જામનગર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ બનેલા માર્ગ અકસ્માતોના બનાવોમાં એક કિશોરનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક બનાવમાં ટ્રક ચાલકને ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. સંબંધિત પોલીસ મથકોમાં ગુના નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
જોડિયા તાલુકાના ભાદરા પાટિયા પાસે આવેલા ઓવરબ્રિજના કેશિયા બાજુના છેડે દ્વારકાધીશ હોટલ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ફરિયાદ મુજબ શોકતભાઈ ફિરોજભાઈ સુરંગી વાઘેર પોતાના સગા સંબંધીઓ સાથે ધ્રોલ ખાતે આવેલી ગેબનશાપીરની દરગાહેથી દર્શન કરી પરત જોડિયા આવી રહ્યા હતા.
આ દરમિયાન નાજીમભાઈ સિદીકભાઈ કકલ વાઘેર પોતાની મોટરસાયકલ લઈને આગળ જઈ રહ્યા હતા ત્યારે અલબાજભાઈ મુબારકભાઈ ગોધાવીયાએ પોતાની મોટરસાયકલ પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી નાજીમભાઈની બાઈક સાથે ધડાકાભેર અથડાવી હતી.
અકસ્માતમાં નાજીમભાઈને માથા તથા ગરદનના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પાછળ બેઠેલા જુબેરને સામાન્ય ઇજાઓ થઈ હતી. જોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ધ્રોલ તાલુકામાં જોડીયા-ધ્રોલ હાઈવે પર વડલી (માવાપર) ગામના પાટિયા નજીક ટ્રક અકસ્માત સર્જાયો હતો. ફરિયાદી ગોપાલભાઈ શિવલાલભાઈ ધાકડની ટ્રકનું ટાયર ફાટી જતા તેમણે પોતાની ટ્રક રોડની સાઈડમાં તમામ ઈન્ડિકેટર ચાલુ રાખી ઉભી રાખી હતી અને કેબિનમાં આરામ કરી રહ્યા હતા.
તે દરમિયાન પાછળથી આવેલી ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી ઉભેલી ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાવી હતી. અકસ્માતના પગલે ફરિયાદીની ટ્રક પલ્ટી મારી ગઈ હતી અને તેમને હાથ તથા કમરના ભાગે સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ધ્રોલ પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt