
ભાવનગર, 03 જૂન (હિ.સ.) : ભાવનગર જિલ્લાના કરોડરજ્જુ સમાન ગણાતા હીરા ઉદ્યોગમાં હાલમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. હીરાનો વ્યવસાય મુખ્યત્વે આયાત અને નિકાસ પર આધારિત હોવાથી વૈશ્વિક આર્થિક પરિસ્થિતિની સીધી અસર આ ઉદ્યોગ પર પડે છે.છેલ્લા કેટલાક સમયથી ડોલરના ભાવમાં સતત વધઘટ, ટેરિફ તેમજ યુદ્ધ જેવી પરિસ્થિતિઓના કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.વેપારીઓના જણાવ્યા અનુસાર હીરાની માંગમાં ઘટાડો થતા ઉત્પાદન અને વેપાર બંને પર અસર પડી છે. સતત મંદીના કારણે અનેક નાના-મોટા કારખાનાઓ બંધ થઈ ગયા છે.
કારીગરોને નિયમિત કામ મળતું ન હોવાથી તેમના માટે પરિવારનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બન્યું છે.ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ નું માનવું છે કે જો નજીકના સમયમાં વૈશ્વિક બજારમાં સ્થિરતા નહીં આવે તો હીરા ઉદ્યોગને વધુ પડકારોનો સામનો કરવો પડી શકે છે. હીરાના વ્યવસાયમાં મંદિ આવવાના કારણે અનેક કારીગરો આ વ્યવસાય છોડીને અન્ય વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છે.હાલ તો વેપારીઓ અને કારીગરો બંને આગામી દિવસોમાં સ્થિતિ સુધરવાની આશા રાખી રહ્યા છે.
મહુવા તાલુકા ડાયમંડ એસોસિએશન પ્રમુખ અજય બારૈયાએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશમાં હીરા ઉદ્યોગમાં મંદિનો માહોલ ચાલી રહ્યો છે. દિવાળી પૂર્ણ થઈ ગયા બાદ પણ છેલ્લા ચાર મહિનાથી સતત અમે મંદીનો સામનો કરી રહ્યા છીએ. કાચા હીરા ખરીદવા જઈએ તો મોંઘા મળે છે તેની સામે તૈયાર હીરા વેચાતા નથી. મંદિરનું મુખ્ય કારણ મને ટેરિફ, ડોલરમાં વધઘટ થવી અને યુદ્ધ હોવાનું લાગે છે. મંદિરના કારણે અનેક કારખાનાઓ બંધ થઈ ગયા છે અને જે કાંઈ કારખાનાઓ શરૂ છે તે પણ બંધ થવાની શક્યતાઓ રહેલી છે.
આ અંગે હિતેશ રબારીએ જણાવ્યું હાલ છેલ્લા ઘણા સમયથી હિરાના વ્યવસાયમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિ ચાલી રહી છે. હીરાના વ્યવસાય સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. સરકાર પાસે અમારી એક જ માંગ છે કે હીરાના વ્યવસાય સાથે જોડાયેલા તમામ લોકોનું શુભ થાય તેવા પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે. અનેક હીરાના કારીગરો આ વ્યવસાય છોડીને અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે તો અનેક કારખાનાઓ બંધ પણ થઈ રહ્યા છે.
આ અંગે હીરાના વ્યાપારી કમલેશ એ જણાવ્યું કે હીરામાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે જેનું મુખ્ય કારણ ટેરીફ અને યુદ્ધ મુખ્ય કારણ જવાબદાર લાગી રહ્યું છે. કારીગરો રફ તૈયાર કરે છે તેનો અમે વેચાણ કરવા જઈએ છીએ ત્યારે તેનો યોગ્ય ભાવ મળતો નથી પરિણામે કારખાનાદારોને નુકસાન ભોગવવું પડે છે. કારખાનું કેવી રીતે ચલાવવા તે પણ અમારા માટે એક મહત્વનો મુદ્દો બની ગયો છે. આ મુદ્દામાં સરકાર થોડો હસ્તક્ષેપ કરે અને આના માટે યોગ્ય નિરાકરણ લાવે તેવી અમારી માંગ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA