
ગાંધીનગર,03 જૂન (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય, પૂર્વ મંત્રી અને ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા સ્વ. યોગેશ પટેલના દુઃખદ નિધન બદલ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
કેબિનેટ બેઠકની શરૂઆતમાં જ સદગતના નિધન અંગેનો શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી સહિત રાજ્ય મંત્રી મંડળના તમામ સભ્યોએ સદગતના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ સ્વ. યોગેશભાઈના જીવન - કવનને વાગોળતા જણાવ્યું હતું કે, 'યોગેશ કાકા'ના હુલામણા નામથી લોકપ્રિય બનેલા યોગેશ પટેલ, વડોદરાની જનતાના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવતા અજેય નેતા હતા. તેમણે રાજ્ય વિધાનસભામાં સતત 8 ટર્મ સુધી રાવપુરા અને ત્યારબાદ માંજલપુર બેઠકના પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી.
વડોદરાના મતદારોએ દાયકાઓ સુધી તેમના પર અવિરત અને અતૂટ વિશ્વાસ મૂક્યો હતો.
તેમણે રાજ્ય સરકારમાં મંત્રી તરીકે પણ અત્યંત નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી હતી. મંત્રી પદ પર હોવા છતાં તેમની સાદગી અને સામાન્ય માણસ માટે હંમેશા ઉપલબ્ધ રહેવાની તેમની શૈલી અજોડ હતી. તેઓ ભગવાન શિવના પરમ ભક્ત અને ઉપાસક હતા અને તેમણે જ વડોદરાને સંસ્કારી નગરી ઉપરાંત શિવનગરીની ઓળખ આપી હતી. તેઓ શિવજીની યાત્રાના આયોજન સાથે તેઓ અતૂટ રીતે જોડાયેલા હતા.
વડોદરા શહેરના વિકાસમાં, ખાસ કરીને પાણી, રસ્તા અને ડ્રેનેજ જેવા પાયાના પ્રશ્નોના નિરાકરણમાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. વડોદરાની સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ સાથે તેઓ સદાય વણાયેલા રહ્યા હતા. યોગેશ કાકા જેવા એક ઉમદા જનસેવકના જવાથી સમગ્ર ગુજરાતના જાહેર જીવનને ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે,
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ