
પાટણ, 03 જૂન (હિ.સ.) રાધનપુરના દેવીપૂજક વાડી વિસ્તારમાં ભિલોટી દરવાજાથી ભરવાડવાસ તરફ જતા રસ્તા પર આવેલી એક અવાવરુ જગ્યાએથી એક પુરુષનો ત્રણથી ચાર દિવસ જૂનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિકોએ ઘટનાની જાણ નગરપાલિકાના વોર્ડ નં. 1ના કો-ઓપરેટર જયા સોનીને કરી હતી.
જયા સોનીએ પોલીસને જાણ કરતાં રાધનપુર પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઘટનાસ્થળે પહોંચેલા મૃતકના પિતાએ મૃતદેહની ઓળખ નરેશ રાજગોર તરીકે કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતદેહ ત્રણથી ચાર દિવસ જૂનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
પોલીસે મૃતદેહનું પંચનામું કરી તેને પોસ્ટમોર્ટમ માટે રાધનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે FSLની મદદ લેવામાં આવી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હકીકત સ્પષ્ટ થશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ