
પાટણ, 03 જૂન (હિ.સ.)પાટણના ભગિની સમાજ ખાતે મહિલા અને બાળ વિકાસ કચેરીના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય શિબિર યોજાઈ હતી. શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ અંગે જાગૃત કરવાનો હતો. કાર્યક્રમની અધ્યક્ષતા વાલીબેન પટેલે કરી હતી.
શિબિરમાં લીલાબા દેવડા, મુકેશભાઈ પટેલ, ડો. લીલાબેન સ્વામી અને એડવોકેટ દિનેશભાઈ દરજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
વક્તાઓએ ઘરેલુ હિંસા કાયદાની જોગવાઈઓ, મહિલાઓના અધિકારો અને ન્યાય મેળવવાની પ્રક્રિયા અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ મહિલા સશક્તિકરણ માટેની વિવિધ સરકારી યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી.
મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનવા, પોતાના હકો પ્રત્યે જાગૃત રહેવા અને સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવવા અપીલ કરવામાં આવી હતી. ઘરેલુ હિંસા અટકાવવા માટે મહિલાઓની જાગૃતિનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું.
શિબિરમાં કુલ 120 મહિલાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં નગરપાલિકાના મહિલા સભ્યો, અધિકારીઓ અને ભગિની સમાજના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હેમાબેન મજમુદારે અને આભાર વિધિ મનીષાબેન ઠક્કરે કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ