
- 1808 ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા શિક્ષણ વિભાગનો આદેશ
- પરિપત્ર જાહેર કરી જિલ્લા કક્ષાએથી વિગતો મંગાવી
ગાંધીનગર,03 જૂન (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા HTAT મુખ્ય શિક્ષકોની ભરતીને લીલી ઝંડી આપવામાં આવી. 1808 ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા શિક્ષણ વિભાગનો આદેશ. પરિપત્ર જાહેર કરી જિલ્લા કક્ષાએથી વિગતો મંગાવી.
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી મુખ્ય શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓને લઈને શિક્ષણ વિભાગે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા HTAT (હેડ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ) પાસ ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયાને લીલી ઝંડી આપી દેવામાં આવી છે.
શિક્ષણ વિભાગે આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કરીને જિલ્લા કક્ષાએ તાત્કાલિક અસરે ભરતી પ્રક્રિયા શરૂ કરવાના કડક આદેશ આપ્યા છે. આ નિર્ણયથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી કુલ 1808 મુખ્ય શિક્ષક વર્ગ-3ની જગ્યાઓ ઝડપથી ભરાશે.
શિક્ષણ વિભાગના સત્તાવાર પરિપત્રમાં જણાવ્યા અનુસાર, મુખ્ય શિક્ષક વર્ગ-3ની આ ભરતી ચોક્કસ નિયત કરાયેલા 1:1:2 રેશિયો (ગુણોત્તર) મુજબ કરવામાં આવશે.
આ ભરતી પ્રક્રિયામાં લાયક ઉમેદવારોને સમાવવા માટે મુખ્ય ત્રણ માધ્યમોનો ઉપયોગ કરાશે:
ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા વિભાગીય સ્તરે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી.
વિભાગે સ્પષ્ટતા કરી છે કે, આ તમામ ભરતી પ્રક્રિયા દરમિયાન ખાલી જગ્યાઓની કુલ સંખ્યા અંદાજપત્રમાં મંજૂર થયેલી જોગવાઈ કરતાં વધી ન જાય તે રીતે વહીવટી તંત્રએ ધ્યાન રાખવાનું રહેશે.
શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી છે કે, ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા (સેમી ડાયરેક્ટ) ના આધારે થનારી ભરતી માટેનું માળખું તાત્કાલિક તૈયાર કરી સમયમર્યાદામાં પરીક્ષા અને ભરતી પૂર્ણ કરવામાં આવે. આ ઉપરાંત, પ્રાથમિક શાળાઓની જરૂરિયાત મુજબ મુખ્ય શિક્ષક સંવર્ગમાં જો કોઈ નવી જગ્યાઓ મંજૂર કરવાની જરૂર જણાય, તો તેની દરખાસ્ત આગામી અંદાજપત્ર (બજેટ) તૈયાર થાય તે પહેલાં જ સરકારમાં મોકલી આપવાની રહેશે.
પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે વર્ષ 2025-26ના અંદાજપત્રમાં મુખ્ય શિક્ષક વર્ગ-3ની આ ખાલી જગ્યાઓ ભરવા માટે નાણાકીય જોગવાઈ અગાઉથી જ મંજૂર કરી દેવામાં આવી હતી. હવે આ 1808 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, જરૂરિયાત મુજબ નવી જગ્યાઓ ઊભી કરવા માટે પણ અલગથી દરખાસ્ત તૈયાર કરવામાં આવશે.
શિક્ષણ વિભાગના આ આક્રમક અને સકારાત્મક નિર્ણયથી બે મોટા ફાયદા થશે. પ્રથમ તો, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી ઇન્ચાર્જ આચાર્યોના ભરોસે ચાલતી વહીવટી અને શૈક્ષણિક કામગીરી હવે કાયમી મુખ્ય શિક્ષકો મળતાં વધુ મજબૂત અને ગુણવત્તાસભર બનશે. બીજી તરફ, HTAT પરીક્ષા પાસ કરીને વર્ષોથી કાયમી આચાર્ય બનવાની રાહ જોઈને બેઠેલા હજારો શિક્ષકો અને ઉમેદવારો માટે રોજગારી અને પ્રગતિની નવી આશાની તક ઊભી થઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ