
સોમનાથ, 04 જૂન (હિ.સ.) : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં આવતા યાત્રિકોને માત્ર આધ્યાત્મિક શાંતિ જ નથી મળતી, પરંતુ અહીંની વ્યવસ્થા અને સેવકોની નિષ્ઠા જોઈને તેમને ખરા અર્થમાં 'રામરાજ્ય'નો અનુભવ પણ થાય છે. તાજેતરમાં સોમનાથ ટ્રસ્ટ સંચાલિત રામ મંદિર ખાતે આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મુંબઈથી દર્શનાર્થે આવેલ એક યુવાનનો ખોવાયેલો રૂ. 80,000 ની કિંમતનો નવો નક્કોર આઇફોન ટ્રસ્ટના સેવકોએ શોધીને સહીસલામત પરત કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, મુંબઈનો એક યુવાન ભર બપોરે રામ મંદિર પરિસરમાં દર્શન કરી રહ્યો હતો, તે દરમિયાન તેનો મોંઘોદાટ નવો આઇફોન ક્યાંક પડી ગયો હતો. પોતાનો કિંમતી મોબાઈલ ખોવાઈ જતાં યુવાન ભારે ચિંતાતુર અને પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. જોકે આ જ સમયે સોમનાથ ટ્રસ્ટના સિવિલ વિભાગમાં ફરજ પરના સેવકને પાર્કિંગ ખાતેથી ફોન મળ્યો, ત્યારે તેણે ટ્રસ્ટના અધિકારીઓનો સંપર્ક કરી અને ઇમરજન્સી કેન્ટેક મારફત મૂળ માલિકને શોધીને પૂરી ખરાઈ કર્યા બાદ મૂળ માલિકને ફોન પરત સોંપ્યો હતો.
આ ઘટનામાં સૌથી વધુ પ્રેરણાદાયક બાબત એ હતી કે, જ્યારે યુવાને પોતાનો કિંમતી મોબાઈલ પરત મેળવ્યો ત્યારે ભાવવિભોર થઈને તેણે ટ્રસ્ટના સેવકને ઈનામ (ભેટ) આપવાની રજૂઆત કરી. પરંતુ, નિષ્કામ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં સેવકે નમ્રતાપૂર્વક ઈનામનો અસ્વીકાર કર્યો અને કહ્યું, આપ તો ટ્રસ્ટના મહેમાન કહેવાઓ, અમારે કોઈ ભેટ ન જોઈએ... સોમનાથ દાદા ઘણું આપે છે...
દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટના કર્મચારીઓને સેમિનારો, તાલીમ વર્ગો અને અધ્યક્ષના પ્રેરણારૂપ નેતૃત્વથી 'અતિથિ દેવો ભવઃ' ની ભાવના અને સંસ્કારોનું સિંચન થયું છે, તેના સર્વોત્તમ દર્શન આ ઘટના થકી યાત્રિકોને થયા હતા. પોતાનો કિંમતી સામાન સહીસલામત પાછો મેળવીને મુંબઈના આ યુવાને અને અન્ય યાત્રિકોએ સોમનાથમાં ખરા અર્થમાં 'રામરાજ્ય'ની અનુભૂતિ કરી હતી. સોમનાથ ટ્રસ્ટના સેવકોની આ પ્રામાણિકતા સોમનાથના પ્રેમપૂર્ણ આતિથ્યની ગાથામાં વધુ એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ