
પાટણ, 04 જૂન (હિ.સ.) પાટણ નગરપાલિકાના ઉપ પ્રમુખ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસરે શહેરની પીવાના પાણીની વ્યવસ્થાનું સ્થળ પર જઈને જાત નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ પદ્મનાથ પંપિંગ સ્ટેશનથી લઈને સિદ્ધિ સરોવર સુધીના મુખ્ય પાણી પ્રવાહના રૂટ પર હાથ ધરાયું હતું.
શહેરના નાગરિકોને સ્વચ્છ, શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી સતત મળી રહે તે માટે આ કામગીરી કરવામાં આવી હતી.
નિરીક્ષણ દરમિયાન અધિકારીઓએ પાણી પુરવઠા વ્યવસ્થાની કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ પાલિકાના સંબંધિત સ્ટાફને પાણીના નિયમિત સેમ્પલ ટેસ્ટ કરવા, પાણીની ગુણવત્તા જાળવવા અને સમગ્ર વ્યવસ્થાની યોગ્ય દેખરેખ રાખવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પાણી પુરવઠા પ્રણાલી વધુ અસરકારક અને સુરક્ષિત બને તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નિરીક્ષણ પૂર્ણ થયા બાદ પાટણ નગરપાલિકાએ શહેરની જનતા માટે જાહેર અપીલ કરી હતી. નાગરિકોને મુખ્ય પાણી પ્રવાહને દૂષિત ન કરવા તેમજ તેમાં કપડાં ધોવા કે નહાવા માટે પાણીનો ઉપયોગ ન કરવા જણાવાયું છે. પાણીની શુદ્ધતા અને સ્વચ્છતા જળવાઈ રહે તેમજ શહેરમાં પીવાના પાણીની વ્યવસ્થા સુચારુ રીતે ચાલતી રહે તે માટે પાલિકા તંત્રએ પ્રજાજનોના સહકારની અપેક્ષા વ્યક્ત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ