
અમદાવાદ,04 જૂન (હિ.સ.) અમદાવાદ શહેરના ગોતા અને થલતેજ વોર્ડમાં આવતા ઘાટલોડિયા વિસ્તારની સોસાયટીઓમાં રોગચાળો ફેલાતા એએમસીના અધિકારીઓએ જણાવ્યું કે રોગચાળા ના જે કેસોની સંખ્યા છે તે ઓછી છે.
આજે ગોતા વોર્ડના ભાજપના કોર્પોરેટરો આજે આકાંક્ષા ફ્લેટમાં આવ્યા હતા. ભાજપના કોર્પોરેટરોનો સ્થાનિક લોકોએ ઉધડો લીધો હતો. ખરાબ પાણી પીવાને કારણે સોસાયટીના રહીશો બીમાર પડ્યા હતા, જેને લઇને સોસાયટીના લોકોએ કોર્પોરેટરોને ઘેરીને ઉગ્ર રજૂઆત કરી હતી.
મામલાની ગંભીરતાને જોતા ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પણ તાત્કાલિક પગલાં લેવા મુખ્યમંત્રી અને મેયરને સૂચના આપી છે.
ઘાટલોડિયા વિસ્તારના આકાંક્ષા ફ્લેટના સ્થાનિક રહીશોએ ભાજપના કોર્પોરેટર કેતન પટેલ, હેમા પટેલ સહિતના કોર્પોરેટરો સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી કે શનિવારે મોડી રાત્રે અથવા રવિવારે સવારે કામગીરી કરવાની હતી જે સોમવાર સુધી કર્યું નહીં. જેના કારણે બધાએ ખરાબ પાણી પીધું અને તેના કારણે થઈને આ વિકટ સ્થિતિ ઊભી થઈ હતી. તાત્કાલિક પગલાં લેવા જોઈએ છતાં પગલા લેવામાં આવ્યા નથી. અમે જાણ કરીએ છીએ ત્યાર બાદ તેઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે.
સોસાયટીના સ્થાનિક રહીશોએ ઉગ્ર રજૂઆત કરી હતી કે સોસાયટીના રહીશો કઈ લાઈન ક્યાં જાય છે તે તમામ બાબત જાણે છે જે બાબતની અમે વોર્ડના અધિકારીઓને જાણ કરી હતી. અમે અધિકારીઓને જાણ કરી એના પાંચથી છ કલાક બાદ પગલાં લેવામાં આવે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રીની વિધાનસભા ઘાટલોડિયાના વિસ્તારમાં રોગચાળો ફેલાતાં ભાજપના ગોતા વોર્ડના કોર્પોરેટર કેતન પટેલ અને હેમા પટેલ દોડી ગયા હતા. મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીના મતવિસ્તારમાં આ સ્થિતિ ઉભી થતા પ્રતિનિધિ તરીકે ભાજપના શહેર મહામંત્રી દર્શક ઠાકર પણ પહોંચ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ