
જૂનાગઢ,04 જૂન (હિ.સ.) જૂનાગઢના જગપ્રસિદ્ધ અને પવિત્ર દામોદર કુંડમાં જયાં હજારોની સંખ્યામાં ભક્તો જ્યાં પવિત્ર સ્નાન અને ધાર્મિક વિધિઓ માટે આવે છે ત્યાં અચાનક એક વિશાળકાય મગર આવી ચડતા સનસનાટી મચી ગઈ હતી.
વહેલી સવારથી જ દામોદર કુંડમાં હજારોની સંખ્યામાં ભક્તો જ્યાં પવિત્ર સ્નાન અને ધાર્મિક વિધિઓ માટે એકઠા થાય છે, ત્યાં અચાનક મગર દેખાતા જ યાત્રિકોમાં ભારે ગભરાટ અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો હતો. જોકે, વનવિભાગની ત્વરિત કામગીરીને કારણે એક મોટી હોનારત ટળી હતી.
દામોદર કુંડના પાણીમાં અચાનક વિશાળ મગર તરતો જોઈને ત્યાં હાજર સ્થાનિક શ્રદ્ધાળુઓએ હજારો યાત્રિકોના જીવ જોખમમાં હોવાની ગંભીરતા સમજીને તાત્કાલિક આ અંગે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓને વાકેફ કર્યા હતા.
ઘટનાની ગંભીરતાને જોતા વનવિભાગની ટીમ સહેજ પણ સમય ગુમાવ્યા વિના ઘટનાસ્થળે દોડી આવી હતી. રેસ્ક્યૂ ટીમે કુંડ ખાતે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વનવિભાગની ટીમે ભારે કુશળતાપૂર્વક કુંડના પાણીમાંથી આ વિશાળકાય મગરને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સલામત રીતે પાંજરે પૂરી લીધો હતો. જે બાદ મગરને વિલીંગ્ડન ડેમમાં છોડી મુકાતા દામોદર કુંડ ખાતે ઉમટેલા હજારો શ્રદ્ધાળુઓ પરથી મોટો જાનમાલનો ખતરો ટળ્યો હતો. સફળ રેસ્ક્યૂ બાદ વહીવટી તંત્ર અને યાત્રિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ