
સુરત, 05 જૂન (હિ.સ.): સુરતથી નવસારી જતી મેમુ ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. નવસારી જિલ્લાના મરોલી ગામના 19 વર્ષીય રુદ્ર દીપકભાઈ પંચાલ ટ્રેનના દરવાજા પાસે બેઠા હતા ત્યારે અચાનક તેમનો સંતુલન બગડતા તેઓ ટ્રેનમાંથી નીચે પટકાયા હતા. ઘટના સુરતના સહારા દરવાજા રેલવે બ્રિજ નજીક બની હતી, જ્યાં ગંભીર ઇજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મૃતક રુદ્ર છેલ્લા એકથી દોઢ વર્ષથી સુરતમાં રહેતો હતો અને હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતો હતો. અભ્યાસની સાથે તે શહેરની એક જાણીતી હોટેલમાં નોકરી પણ કરતો હતો. પરિવારમાં માતા-પિતા અને મોટી બહેન સાથે રહેતા રુદ્રના અચાનક અવસાનના સમાચાર મળતા જ પરિવારજનો પર શોકની લાગણી છવાઈ ગઈ હતી.
ઘટનાની જાણ પરિવારને એક અજાણ્યા નંબર પરથી આવેલા ફોન દ્વારા થઈ હતી. બાદમાં પરિવારજનો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે રેલવે ટ્રેક પાસે રુદ્રનો મૃતદેહ મળી આવ્યો હતો. રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટના ફરી એકવાર ચાલુ ટ્રેનના દરવાજા પાસે બેસવાની ગંભીર જોખમોને ઉજાગર કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે