
- કેમિકલના વિસેલમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો
અમદાવાદ,05 જૂન (હિ.સ.) અમદાવાદ નરોડા જીઆઇડીસી વિસ્તારમાં ફેઝ 3માં આવેલી એક કેમિકલની કંપની એમએસએન ઇન્ટરમિડીયેટ્સમાં આગ લાગવાની ઘટના સામે આવી છે,જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અન્ય 2 ઈજાગ્રસ્ત સારવાર હેઠળ છે.
નરોડા જીઆઇડીસીમાં અર્બુદા કાંટા પાસે આવેલા કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. કેમિકલની ફેક્ટરીના હોવાના કારણે બ્લાસ્ટ થયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
ફાયરબિગ્રેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો છે.
ફાયર બ્રિગેડના પ્રાથમિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નરોડા જીઆઇડીસી વિસ્તારમાં ફેઝ 3માં આવેલી એક કેમિકલની કંપનીમાં આગ લાગી હતી.જેમાં બોઈલરમાં પ્રચંડ બ્લાસ્ટ થયો છે.બ્લાસ્ટ થયો હોવાના કારણે 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે.જેમને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
કેમિકલ કંપનીમાં આગ અને બોઈલર બ્લાસ્ટ થતા અફરાતફરી સર્જાઈ હતી.
ફાયર ઓફિસર જે.એસ.ગઢવીએ જણાવ્યું હતું કે નરોડા જીઆઇડીસીમાં કેમિકલ ટેન્કમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો.ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યાં એક હાઈડ્રોજન ટેંક હતી. જેમાં હાઇડ્રોજન ભરેલું હતું અને આગ લાગી હતી.ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી છે.
હાલમાં પોલીસ, ફાયરબ્રિગેડ અને જીપીસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.ઝોન 4 ડીસીપી અતુલ બંસલે જણાવ્યું હતું કે નરોડા જીઆઇડીસી વિસ્તારમાં એમએસએન ઇન્ટરમિડીયેટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં કોઈ રિએક્શનના કારણે બ્લાસ્ટ થવાની ઘટના બની હતી.ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. ત્રણ લોકોને ઈજા થઈ હતી.જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે,જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હાલ હોસ્પિટલમાં દાખલ છે. કંપની દ્વારા ક્યાં બેદરકારી દાખવવામાં આવી છે તે અંગેની તપાસ કરવામાં આવશે.ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને જીપીસીબી વગેરેની ટીમ દ્વારા તપાસ કરી રિપોર્ટ આપવામાં આવશે.તેના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ