
ગીર સોમનાથ 5 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત ઈણાજ, તટરક્ષક દળ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન ૧૨૦૦ જેટલા રોપા વાવી અને ઉછેર કરવા અધિકારીઓ-કર્મચારીઓ સંકલ્પબદ્ધ થયાં હતાં.
સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ આ અવસરે જણાવ્યું હતું કે, વિશ્વ પર્યાવણ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યું છે, ત્યારે ‘પર્યાવરણ દિવસ’ નિમિત્તે પર્યાવરણની જાળવણીને જીવનમંત્ર બનાવીએ.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોને ‘સ્વચ્છતા’, ‘પાણી બચાવો’, ‘એક પેડ મા કે નામ’ સહિતના અભિયાનોથી પર્યાવરણને આપણે કઈ રીતે મદદરુપ થઈ શકીએ તેવી પ્રેરણા આપી આહ્વાન કર્યું છે. વૃક્ષો વાવી અને પોતાની માતાના નામે અને માતૃભૂમિના નામે વૃક્ષોનો ઉછેર કરીએ એ માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાન પણ શરુ છે.
જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયાએ જણાવ્યું હતું કે, આજનું વાવેલું વૃક્ષ એ આવતીકાલ માટે સ્વસ્થ વાયુ, સ્વચ્છ પર્યાવરણ અને જૈવ વિવિધતાનો આધાર છે. પર્યાવરણ અને વાતાવરણમાં પલટો આવવા માટે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે, ત્યારે ગ્લોબલ વોર્મિંગ નામના રાક્ષસને નાથવા માટે વધુને વધુ વૃક્ષો વાવવા જરુરી છે. આમ કહી તેમણે આ અભિયાનમાં સહભાગી થવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.
પર્યાવરણ જાળવણીના હેતુ સાથે યોજાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વેરાવળ તટરક્ષક દળ દ્વારા દરિયાઈ સુરક્ષા સાથે પર્યાવરણ સંવર્ધન અને નેશનલ કેડેટ કોર્પ્સના વિદ્યાર્થીઓ દ્વારા બેનર્સ અને પ્લેકાર્ડના માધ્યમથી પર્યાવરણના જતનનો સંદેશો આપ્યો હતો.
વનવિભાગ દ્વારા વિવિધ પ્રજાતિના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કોસ્ટ ગાર્ડના કર્મચારીઓ-વહીવટીતંત્રના અધિકારીઓ-કર્મચારીઓએ વૃક્ષોનું જતન અને સંવર્ધન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે વન વિભાગના સહયોગથી દરેક ગામ દીઠ ઓછામાં ઓછા ૧૨ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા જુદી જુદી જગ્યાઓએ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વૃક્ષારોપણના અવસરે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, અગ્રણી સંજયભાઈ પરમાર, કમાન્ડન્ટ જે.જી સંજયકુમાર, કમાન્ડન્ટ જે.જી સચિનસિંહ, નાયબ વન સંરક્ષક ઉષ્મા નાણાવટી, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ