
પાટણ, 05 જૂન (હિ.સ.) : પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ખેતીવાડી વિભાગ દ્વારા રાસાયણિક ખાતરના સમતોલ અને સંકલિત ઉપયોગ અંગે તાલીમ શિબિર યોજાઈ હતી. દૂધેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતોને જમીન અને પાક પર રાસાયણિક ખાતરના અતિરેક ઉપયોગની અસરો વિશે માહિતગાર કરવામાં આવ્યા.
દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો. ધર્મેશકુમાર અને અન્ય તજજ્ઞોએ જણાવ્યું કે છેલ્લા 25-30 વર્ષથી રાસાયણિક ખાતરના અતિઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતા ઘટી રહી છે. જમીનમાં કાર્બનનું પ્રમાણ ઓછું થતાં લાભદાયી બેક્ટેરિયાનો નાશ થઈ રહ્યો છે.
તજજ્ઞોએ જણાવ્યું કે ખેડૂતો ઘણીવાર જરૂરી કરતાં વધુ ખાતરનો ઉપયોગ કરે છે, જેના કારણે જમીન પર ગંભીર અસર થાય છે. શંખેશ્વર વિસ્તારમાં જમીનમાં ક્ષાર વધવાની સમસ્યા પણ જોવા મળી રહી છે. આ સ્થિતિમાં કાર્બનયુક્ત દેશી ખાતર અને જીવામૃતનો ઉપયોગ લાભદાયી હોવાનું જણાવાયું.
શિબિરમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું. કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગના અધિકારીઓ, કૃષિ નિષ્ણાતો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ