



- 12 વર્ષ – વિકાસના, જનવિશ્વાસના અને જનકલ્યાણના:
- પાટણ, ભૂજ, ભાવનગર અને રાજકોટ રિજનલ સાયન્સ સૅન્ટરની નાગરિકોમાં વૈજ્ઞાનિક અભિરૂચિ કેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા
ગાંધીનગર, 05 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એન.ડી.એ. સરકારે 12 વર્ષ પૂર્ણ કર્યા. આ 12 વર્ષમાં ગુજરાતે વિજ્ઞાન અને ટૅકનોલોજીક્ષેત્ર નવી ઉંચાઈઓ આંબી છે. રાજ્યમાં છેલ્લા 12 વર્ષમાં વિજ્ઞાના પ્રસાર અને જનમાનસમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસિત કરવા માટે 4 જેટલા રિજનલ સાયન્સ સૅન્ટરની સ્થાપના કરવામાં આવી છે, જેની 25.64 લાખથી વધુ વિજ્ઞાનપ્રેમીઓએ મુલાકાત લીધી છે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી – GUJCOST દ્વારા રાજ્યમાં શરૂ કરવામાં આવેલા રિજનલ સાયન્સ સૅન્ટર જાણે મુલાકાતીઓ માટે જીવંત-પ્રયોગશાળા બની રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં પાટણ, સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર અને કચ્છમાં શરૂ થયેલા રિજનલ સાયન્સ સૅન્ટર વિવિધ પ્રદેશના નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિજ્ઞાનપ્રેમીઓની જિજ્ઞાસાને સંતોષી રહ્યા છે.
ગુજરાતનાં સ્થાપના દિવસ 1 મે નિમિત્તે વર્ષ 2022ના રોજ પાટણ સાયન્સ સૅન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના નાગરિકોમાં આ કેન્દ્રએ અનોખું આકર્ષણ જમાવ્યું છે. ઉત્તર ગુજરાતમાં શિક્ષણના કેન્દ્ર તરીકે ઓળખાતા પાટણ ખાતે આવેલા સાયન્સ સૅન્ટરની અત્યાર સુધીમાં અંદાજે 14.86 લાખથી વધુ વિજ્ઞાનપ્રેમીઓએ મુલાકાત લીધી.
આ રિજનલ સૅન્ટરે 2700થી વધુ શાળાઓને સાંકળી 7 લાખથી વધુ વિદ્યાર્થી-નાગરિકોને વિજ્ઞાન-અભિમુખ બનાવવામાં ચાવીરૂપ ભૂમીકા ભજવી છે. નોંધપાત્ર બાબત એ છે કે, આ સૅન્ટરે વિજ્ઞાન ગ્રામ સભા જેવી પહેલ થકી ગ્રામીણ ક્ષેત્રોમાં મહિલાઓ, ખેડૂતો અને દિવ્યાંગો માટે વિશેષ કાર્યક્રમ આયોજિત કરી વિજ્ઞાનને સર્વસમાવેશક બનાવ્યું છે. આ સૅન્ટર અંગે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા એન.એચ.એમ, ગાંધીનગરના તત્કાલિન મિશન ડાયરેક્ટર જે.સી.પંડયા કહે છે: “પાટણ રિજનલ સાયન્સ સૅન્ટર તેની અદભૂત માહિતીપ્રદ ગેલેરી થકી વિજ્ઞાનપ્રેમીઓને ઉત્તમ અનુભવ આપી રહ્યું છે.”
વર્ષ 2025માં નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ વિજેતા આ સૅન્ટરમાં 200 કિલોવોટનો સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં કરી ટકાઉ વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરી છે.
• 890થી વધુ વર્કશોપ
• 579 વૈજ્ઞાનિક વ્યાખ્યાન-માળા
• 1900થી વધુ વિજ્ઞાન-શો
• ડીએનએ, રોબોટિકસ્, હાઈડ્રોપોનિક્સ, મેટાટ્રોનિક્સના હેન્ડ્સઓન અભ્યાસક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 28 ઓગસ્ટ, 2022ના રોજ લોકાર્પણ થયું. ભુજીયા ડુંગરની તળેટીમાં વસેલું આ કેન્દ્રની મુલાકાત 1100થી વધુ શાળાઓના 1.37 લાખથી વધુ વિદ્યાર્થીઓ લઈ ચૂક્યા છે. આજદિન સુધી અંદાજે ૨.૫૭ લાખથી વધુ દેશ-વિદેશના નાગરિકોએ મુલાકાત લીધી છે, જેમાં નાઈજેરિયા, ઓસ્ટ્રેલિયા, યુકે, યુએસએ અને સાઉદી અરેબિયા જેવા દેશોના પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે.
અહી 6 અદભુત ગેલેરીઓ, 3D મૂવી, મરીન અને સબમરીન સિમ્યુલેટર આવેલું છે. આ સૅન્ટર બાળકો માટે પણ પ્રવૃત્તિઓ ચલાવે છે. અહીં સમર વર્કશોપમાં 2500થી વધુ બાળકોને ફન વિથ ફિઝિક્સ, એસ્ટ્રોનોમી, મેન્ટલ મેથ્સ અને ઓરિગામીનો પરિચય કેળવવાની તક પૂરી પાડવામાં આવી. 25 ડિસેમ્બર, 2024ના રોજ અહિયાં ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જ્યાં 24 ઈંચ ટેલિસ્કોપ દ્વારા અત્યાર સુધીમાં 3500થી વધુ નાગરિકોએ અવકાશના રહસ્યોનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે.
29 સપ્ટેમ્બર,2022 ના રોજ ભાવનગર ખાતે શરૂ થયેલું રિજનલ સાયન્સ સૅન્ટર 20 એકરમાં વિસ્તરેલું છે. અત્યાર સુધી અંદાજે 2.90 લાખથી વધુ વિદ્યાર્થીઓ-નાગરિકો આ સૅન્ટરની મુલાકાત લઈ ચૂક્યા છે. અહીં મરીન, ઑટોમૉબાઈલ, બાયોલૉજી, ઇલેક્ટ્રો-મિકેનિક્સ અને નોબેલ પ્રાઈઝની થીમ પર આધારિત પાંચ ગેલેરીઓ ઉપલબ્ધ છે. વિજ્ઞાનપ્રેમી પરેશ.આર.સરવૈયાના મતે અહીં વિવિધ ગેલેરીની જાળવણી ખૂબ સરસ રીતે કરવામાં આવે છે અને સ્ટાફ પણ સારૂ માર્ગદર્શન આપે છે.
આ ગેલેરીઓમાં 9D વર્ચ્યુઅલ રિયાલિટી સિમ્યુલેટર, વિશાળ એક્વેરિયમ, પીઝો ઇલેક્ટ્રિક ફ્લોર અને ઇન્ટરેક્ટિવ પઝલ ઝોન આવેલા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ને અનુરૂપ STEM, AI, રોબોટિક્સ અને શિક્ષક-તાલીમ આપતું આ કેન્દ્ર 100 kW સોલાર પ્લાન્ટ અને 'ઝીરો વોટર વેસ્ટ' સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રીન કેમ્પસનું બિરુદ પ્રાપ્ત કરી ચૂક્યું છે.
19 ઓક્ટોબર, 2022ના રોજ લોકાર્પણ કરવામાં આવેલા રાજકોટ રિજનલ સૅન્ટર હાઉ સ્ટફ વર્ક્સ, રોબોટિક્સ, મશીન એન્જિનિયરિંગ, ગ્લાસ એન્ડ સિરામિક, નોબેલ પ્રાઈઝ અને લાઈફ સાયન્સ જેવી 6 થીમ આધારિત ગેલેરી ધરાવે છે. લગભગ 1.67 લાખથી વધુ વિદ્યાર્થીઓએ અને અંદાજે 3.64 લાખથી વધુ મુલાકાતીઓ અહીં વિજ્ઞાન-જગતના રહસ્યો જાણ્યા-માણ્યા છે. કેમ્પસ ખાતે ઓગમેન્ટેડ રિયાલિટી(AR), વર્ચ્યુઅલ રિયાલિટી(VR), હોલોગ્રામ અને સિમ્યુલેશન ઝોન દ્વારા બાળકોને ડ્રોન ટેક્નોલોજી અને STEM વર્કશોપ જેવી નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીનું શિક્ષણ આપવામાં આવે છે.
આમ,વડાપ્રધાનના 12 વર્ષના રાષ્ટ્રીય નેતૃત્વની સફર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં ગુજરાત જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં નિરંતર પ્રગતિ કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ