
પાટણ, 05 જૂન (હિ.સ.)રાધનપુરના વડપાસર તળાવમાં શુક્રવારે એક જ દિવસમાં બે અલગ-અલગ ઘટનામાં એક મહિલા અને એક યુવતીના મૃત્યુ થતાં શહેરમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. પોલીસે બંને મૃતદેહોનો કબજો લઈ વધુ તપાસ શરૂ કરી છે.
પ્રથમ ઘટનામાં પદ્મનાથ ચોક મંદિર પાછળ આવેલા તળાવમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થયા હતા અને તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે મૃતકની ઓળખ રાધનપુરની સોનલનગર સોસાયટીની ગીતાબેન હસમુખભાઈ ઠક્કર તરીકે થઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મૃત્યુનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરાઈ છે.
થોડા સમય બાદ લાલબાગ વિસ્તારની યુવતી આસ્થાબેન રસિકભાઈ રાણા તળાવમાં પડી હોવાની જાણ થતાં રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી. 108 એમ્બ્યુલન્સ અને તરવૈયાઓની મદદથી યુવતીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
તેમ છતાં સારવાર દરમિયાન આસ્થાબેનનું પણ મૃત્યુ થયું હતું. બંને બનાવોની હકીકત અને મૃત્યુના ચોક્કસ કારણો જાણવા રાધનપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ