જામનગરમાં ગરમીનો આકરો મિજાજ યથાવત : સિઝનનું સૌથી વધુ 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું
જામનગર, 05 જૂન (હિ.સ.) : જામનગર શહેર અને જિલ્લામાં ઉનાળાએ ફરી એકવાર આકરો મિજાજ બતાવ્યો છે. ગુરૂવારે સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાતા લોકો ગરમી અને ઉકળાટથી ત્રસ્ત બન્યા હતા. દિવસ દરમિયાન સૂર્યનારાયણે આકરા તાપ વરસાવતાં રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા,
ગરમી


જામનગર, 05 જૂન (હિ.સ.) :

જામનગર શહેર અને જિલ્લામાં ઉનાળાએ ફરી એકવાર આકરો મિજાજ બતાવ્યો છે. ગુરૂવારે સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાતા લોકો ગરમી અને ઉકળાટથી ત્રસ્ત બન્યા હતા. દિવસ દરમિયાન સૂર્યનારાયણે આકરા તાપ વરસાવતાં રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા, જ્યારે બપોરના સમયે ગરમ પવનો ફૂંકાતા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા.

હવામાન વિભાગના આંકડા મુજબ જામનગરમાં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ચાલુ સિઝનનું સૌથી વધુ તાપમાન ગણાઈ રહ્યું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 29.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિવસ અને રાત્રિના તાપમાનમાં ઘટાડો ન થતાં લોકોને સતત ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

આ ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ 75 ટકા નોંધાતા ગરમી સાથે ઉકળાટમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. ભેજના ઊંચા પ્રમાણના કારણે લોકોને વાસ્તવિક તાપમાન કરતાં વધુ ગરમીનો અનુભવ થયો હતો. બપોરના સમયે બહાર નીકળતા લોકોને ગરમ લૂ અને તીવ્ર તાપનો સામનો કરવો પડ્યો હતો.

દરમિયાન પવનની ગતિ 14.3 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. જોકે પવન ફૂંકાવા છતાં તેમાં ઠંડકનો અહેસાસ થવાના બદલે ગરમ હવાના કારણે લોકોને રાહત મળી નહોતી. બપોરના સમયે મુખ્ય માર્ગો, બજારો અને જાહેર સ્થળોએ સામાન્ય દિવસોની સરખામણીએ લોકોની અવરજવર ઓછી જોવા મળી હતી.

ગરમીના વધતા પ્રકોપને કારણે આરોગ્ય નિષ્ણાતોએ લોકોને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને તડકાથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે. આગામી દિવસોમાં પણ તાપમાન ઊંચું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હોવાથી ગરમીનો પ્રકોપ હજુ યથાવત રહે તેવી શક્યતા છે. જામનગર જિલ્લામાં ઉનાળાની ગરમી હવે વધુ આક્રમક બનતી જઈ રહી છે, અને ચોમાસાના આગમન પૂર્વે લોકો આકરા તાપ અને ઉકળાટનો સામનો કરી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande