
જામનગર, 06 જૂન (હિ.સ.) જામનગરના ઠેબા ગામમાં ગઈકાલે એક પરિવારના ઘેર જઈ દંપતીએ મારકૂટ કરી હતી. કૌટુંબિક જેઠ-જેઠાણી થતાં હુમલાખોરો સામે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા ઠેબા ગામમાં વસવાટ કરતા ક્રિષ્ના મનમીતભાઈ પીઠડીયા નામના દરજી પરિણીતાના સસરા હરીશભાઈનું થોડા દિવસ પહેલાં અવસાન થયા પછી તેઓની ઉત્તરક્રિયા રાખવામાં આવી હતી. તે માટે વેજીબેન નામના વૃદ્ધા ક્રિષ્નાબેનના ઘરે આવ્યા હતા.
ગઈકાલે બપોરે જીતુ મહેશભાઈ પીઠડીયા, જયોતિ જીતુભાઈ પીઠડીયા નામના પતિ-પત્ની ક્રિષ્નાબેનના ઘેર આવ્યા હતા. કૌટુંબિક જેઠ-જેઠાણી થતાં આ વ્યક્તિઓએ મનમીતભાઈ સાથે ઝઘડો કર્યા પછી તેને માર મારવાનું શરૂ કર્યું હતું. ઘરમાં હાજર ઉદય પીઠડીયા પોતાના ભાઈને બચાવવા વચ્ચે પડ્યા હતા. તેથી તેમને પણ ઈજા પહોંચાડવામાં આવી હતી. ક્રિષ્નાબેનને પેટમાં લાત ઝીંકી દેવામાં આવી હતી. ઈજા પામેલા ક્રિષ્નાબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી તેઓએ મોડીરાત્રે જીતુભાઈ તથા જયોતિબેન સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt