



પોરબંદર, 07 જૂન (હિ.સ.)રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ અને વરસાદી પાણીના નિકાલ સહિતના પ્રશ્નો અંગે સ્થાનિકો સાથે સીધી ચર્ચા
પોરબંદર શહેરના રાજીવનગર વિસ્તારમાં મહાનગરપાલિકાના મેયર સાગર મોદીએ સ્થળ મુલાકાત લઈ સ્થાનિક નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી. આ દરમિયાન સ્થાનિક રહેવાસીઓએ રોડ-રસ્તા, પીવાના પાણી, સ્ટ્રીટ લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાઓ સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા હતા. ખાસ કરીને ચોમાસા દરમિયાન વરસાદી પાણીના યોગ્ય અને સરળ નિકાલના અભાવે લોકોને પડતી મુશ્કેલીઓ અંગે સ્થાનિકોએ મેયરનું ધ્યાન દોર્યું હતું.
વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું કાયમી અને અસરકારક નિરાકરણ લાવવા માટે જરૂરી કામગીરી હાથ ધરવાની માંગ પણ કરવામાં આવી હતી. મેયરએ મહાનગરપાલિકાના એન્જિનિયર સહિતના અધિકારીઓની ટીમ સાથે વિસ્તારનું નિરીક્ષણ કરી સ્થળ પર જ રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી આયોજન કરી સ્થાનિક સમસ્યાઓનું ત્વરિત અને ગુણવત્તાયુક્ત નિરાકરણ લાવવા સૂચના આપી હતી.
આ સ્થળ મુલાકાત દરમિયાન વોર્ડ નં.3 ના તમામ કોર્પોરેટરઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિકોના પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya