




આદિત્યનગરમાં ટાંકી તૂટી પડતાં ભારે દોડધામ મચી જોખમ હોવા છતાં ચાલુ રખાયો હતો ઉપયોગ
સદનસીબે કોઈ જાનહાનિ નહીં, પરંતુ સ્થાનિક તંત્ર અને ગ્રામ પંચાયતની ઘોર નિષ્કાળજી સરેઆમ ખુલ્લી પડી ગઈ
ભરૂચ 07 જૂન (હિ.સ.) અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાંથી એક ચિંતાજનક અને વહીવટી તંત્રની આંખ ઉઘાડનારી ઘટના સામે આવી છે. ભડકોદ્રા ગામના આદિત્યનગરમાં આવેલી આશરે 30 વર્ષ જૂની અને અત્યંત જર્જરિત થઈ ગયેલી પાણીની ટાંકી અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે. ટાંકી ભારે કડાકા સાથે તૂટી પડતાં સમગ્ર વિસ્તારમાં અફડાતફડી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્ર અને ભડકોદ્રા ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારીની પોલ ખોલી નાખી છે.
જોખમ છતાં કેમ ચાલુ રખાયો ઉપયોગ? જનતાના જીવ સાથે રમત . આ પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર અને જર્જરિત હાલતમાં હતી. ટાંકી ગમે ત્યારે તૂટી પડે તેમ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હોવા છતાં, જવાબદારો દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આટલું મોટું જોખમ હોવા છતાં આ ટાંકીનો ઉપયોગ સતત ચાલુ રાખવામાં આવ્યો હતો, જે સ્થાનિક રહીશોના જીવ સાથે સીધા ચેડાં સમાન છે.
મોટો સવાલ ઊભા થયા છે જો આ અકસ્માત સમયે આસપાસ કોઈ નાગરિક કે માસૂમ બાળકો હાજર હોત અને મોટી જાનહાનિ થઈ હોત, તો તેનો જવાબદાર કોણ હોત?
તંત્ર અને ગ્રામ પંચાયત સામસામે ઘેરાયા. પાણીની ટાંકી ધરાશાયી થવાની આ ઘટનાએ ભડકોદ્રા ગ્રામ પંચાયત અને સ્થાનિક વહીવટી તંત્રની ઘોર નિષ્કાળજી સરેઆમ ખુલ્લી પાડી દીધી છે. ટાંકી જર્જરિત હતી તો સમયસર તેને ઉતારી લેવાની તકેદારી કેમ ન રખાઈ? કે પછી તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈને બેઠું હતું? તેવા અનેક તીખા સવાલો અત્યારે સ્થાનિક જનતા પૂછી રહી છે. ગ્રામજનોમાં હાલ તંત્રની આ આળસુ અને આડોડાઈભરી નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારો સામે કડક પગલાં ભરવાની માગ ઉઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ