
જામનગર, 08 જૂન (હિ.સ.) રાજકોટના જામનગર રોડ ઉપર આવેલ એક રિસોર્ટમાં પકડા પકડી રમતી જામનગરની 15 વર્ષીય સગીરાનું હૃદય બેસી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. રાજકોટ રહેતા મામાએ પરસોત્તમ માસ નિમિતે જમણવાર રાખ્યો હોય તેમાં મૃતક કિશોરી પરિવાર સાથે ત્યાં આવી હતી.
મળતી માહિતી મુજબ, જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં મોટી ફળીમાં રહેતી આનંદી રાજેશભાઈ મોદી ગઈકાલે 7 જૂન 2026 ના રાત્રી ના 10 વાગ્યા ની આસપાસ રાજકોટના જામનગર રોડ પર આવેલ અનંતા રિસોર્ટમાં હતી ત્યારે કોઈ કારણોસર બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે બેભાન હાલતમાં સારવારમાં લાવતા રૂમ ઇમરજન્સીમાં ફરજ પરના ડો.રાહુલસિંહ પરમારે જોઈ તપાસીને બાળકીને મૃત જાહેર કરી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસ ટીમ દોડી ગઈ હતી. મૃતદેહ પીએમ માટે ખસેડાયો હતો.
સગીરાના પિતા રાજેશભાઈ જણાવ્યું કે તેમના શાળા ટંકારા ખાતે રહેતા ગોપાલ કટારીયાએ જામનગર રોડ પરના અનંતપાર્કમાં પરસોતમ માસ નિમિત્તે જમણવારનું આયોજન કર્યું હોય, તેઓ પરિવાર સાથે અનંત રિસોર્ટ ખાતે આવ્યા હતા. રાત્રે આનંદી અન્ય બાળકો સાથે પકડમ પટ્ટી રમી રહી હતી. ત્યારે અચાનક બેભાન થઈને ઢળી પડી હતી. તેને હોસ્પિટલ ખસેડતા સારવાર મળે તે પહેલા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
હાલ પ્રાથમિક તબક્કે તેને હાર્ટ એટેક આવી ગયાનું અનુમાન છે. આનંદી એક ભાઈ અને એક બહેનમાં નાની હતી. ધોરણ નવ પૂરું કરીને ધોરણ 10 માં આવી હતી. તેમના પિતા રાજેશભાઈ જામનગરમાં સ્ટુડિયો ચલાવે છે. સગીરાના મૃત્યુથી પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt