




- જીઆઈડીસીની પાવન ભૂમિ પર સોમેશ્વર મહાદેવજીનો પ્રથમ પાટોત્સવ ઉજવાય રહ્યો છે
- આચાર્ય વિશ્વાસ જાની તેમજ સાત ભૂદેવોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરી વાતાવરણ પાવન કર્યું
ભરૂચ, 08 જૂન (હિ.સ.) : અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ શ્રી સોમેશ્વર મંદિરના પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે તેના ભાગરૂપે રવિવારે રાત્રે ગરબા અને ત્યારબાદ મહાઅભિષેક અને ત્યારબાદ મહાભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીની પાવન ભૂમિ પર આગામી સમયમાં ભક્તિમય માહોલ જામવા જઈ રહ્યો છે. યુવા આચાર્ય વિશ્વાસ જાનીના આચાર્ય પદ પર તેમના સાત જેટલા ભૂદેવોએ વૈદિક સંસ્કૃતિ મુજબ મંત્રોચ્ચાર કરી સોમેશ્વર મહાદેવ મંદિર અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પ્રથમ પાટોત્સવ નિમિત્તે ભગવાન શિવનો અલૌકિક રુદ્રા અભિષેક તથા મહાભસ્મ આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવને લઈને શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા ધર્મપ્રેમી જનતા માટે ગરબાનું આયોજન કરતા બહેનો અને ભાઈઓ ટ્રેડિશનલ વસ્ત્રો પહેરી ગરબે ઘૂમ્યા હતા .પાંચ જેટલા ભક્તોએ જુદા-જુદા રસોથી મહાઅભિષેક અને દિવ્ય ભસ્મ આરતી કરી હતી..આ પાટોત્સવ અંતર્ગત સોમેશ્વર મહાદેવજીનો ભવ્ય અને શાસ્ત્રોક્ત વિધિથી મહાઅભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં જુદા-જુદા પવિત્ર રસો દ્વારા સોમેશ્વર મહાદેવ દાદાનો વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો. આ સાથે જ ઉજ્જૈનની શૈલીમાં ભગવાન શિવની દિવ્ય મહાભસ્મ આરતીના દર્શનનું પણ વિશેષ આયોજન કરાયું હતું, જે ભક્તો માટે એક અદ્ભુત અને આધ્યાત્મિક લહાવો બની રહ્યો હતો.
સોમેશ્વર મહાદેવજી મંદિર કમિટી દ્વારા અંકલેશ્વર અને આસપાસના ધર્મપ્રેમી જનતાએ આ દિવ્ય મહાઅભિષેક અને ભસ્મ આરતીના દર્શનનો લાભ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ