


- જૂન-2026 સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે
અમદાવાદ,09 જૂન (હિ.સ.) અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા નાગરિકોની સુખાકારી માટે સતત નવતર આયામો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત, ઔડા દ્વારા જેતલપુર ખાતે આવેલા 1,89,394 ચોરસ મીટર જેટલા વિશાળ ક્ષેત્રફળ ધરાવતા હયાત 'દેવ સરોવર' તળાવના ભવ્ય ડેવલપમેન્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટ અંદાજિત કુલ 8.50 કરોડના ખર્ચે સાકાર થઈ રહ્યો છે.
હાલમાં આ તળાવના બ્યુટીફિકેશનની કામગીરી ખૂબ જ ઝડપથી પ્રગતિ હેઠળ છે, જે ચાલુ માસ એટલે કે જૂન-2026ના અંત સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ કરી દેવામાં આવશે.
સ્થાનિક રહીશો અને મુલાકાતીઓ માટે આ તળાવ ખાતે વિવિધ આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, જેમાં મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
વોક-વે અને જોગીંગ ટ્રેક :- ફિટનેસ પ્રેમીઓ માટે તળાવની ફરતે આકર્ષક વોકિંગ અને જોગિંગ ટ્રેક.
ચિલ્ડ્રન પ્લે એરીયા :- બાળકોના મનોરંજન માટે વિવિધ રમત-ગમતના આધુનિક સાધનો.
બેઠક વ્યવસ્થા (ગઝેબો) :- મુલાકાતીઓને આહલાદક વાતાવરણમાં બેસવા માટે કુલ 02 ગઝેબો.
પાર્કિંગ અને ગ્રીનરી :- મુલાકાતીઓના ટૂ-વ્હીલર તેમજ ફોર-વ્હીલર વાહનો માટે પાર્કિંગ સુવિધા, આધુનિક ટોઇલેટ બ્લોક અને સુશોભિત ગાર્ડન.
આ ઉપરાંત તળાવની ફરતે મિયાવાકી પદ્ધતિથી પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. વધુમાં, વોક-વેની બાજુમાં રંગબેરંગી નાના છોડ અને કમ્પાઉન્ડ વોલની ફરતે મોટા વૃક્ષો વાવવામાં આવ્યા છે. આમ, તળાવના સમગ્ર વિસ્તારને ગ્રીન ઝોનમાં ફેરવી દેવામાં આવ્યો છે.
જૂન મહિનાના અંતમાં આ કામગીરી પૂર્ણ થતાં જ જેતલપુર અને તેની આસપાસના નાગરિકોને કુદરતના સાનિધ્યમાં એક સુંદર પિકનિક સ્પોટ ભેટ મળશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ